-
અમરેલી યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન
-
પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ રહ્યા ઉપસ્થિત
-
પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા અપાયું ચોટદાર ભાષણ
-
ભરૂચની નિર્ભયા સાથે થયેલ દુષ્કર્મની ઘટનાને વખોડી કાઢી
-
નારી શક્તિનો અવાજ કોંગ્રેસનો અવાજ હશે : પરેશ ધાનાણી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલની અધ્યક્ષતામાં અમરેલી યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની નિર્ભયા સાથે થયેલ પાશવી દુષ્કર્મની ઘટનાને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ વખોડી કાઢી નારી શક્તિનો અવાજ કોંગ્રેસનો અવાજ હોવાનું સંબોધન કટયું હતું.
અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમરેલી યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, હરપાલસિંહ ચુડાસમા, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ યુવાઓને સંબોધીને ચોટદાર ભાષણ કર્યું હતું. આજના સમયમાં મંદી અને મોંઘવારીને લઈને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરી યુવાનો નવી દિશામાં કામ કરે તેવું આહવાન કર્યું હતું. વધુમાં ગાંધીના ગુજરાતને બરબાદી તરફ ધકેલાતા યુવાનોએ જાગૃત બનવાની જરૂર હોવાનું જણાવી અમરેલી જિલ્લામાં નવનિયુક્ત નવા યુથ કોંગ્રેસના હોદ્દેદારોને પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આગામી નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને અનુલક્ષીને યુથ કોંગ્રેસ દ્વારા અત્યારથી જ તૈયારીઓમાં લાગી જવા માટે હાંકલ કરવામાં આવી હતી. આ સાથે પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ગુજરાતના નિર્ભયા કાંડ જેવી ઘટના અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં ભરૂચની નિર્ભયા સાથે પાશવી દુષ્કર્મને દુખદ ઘટના જણાવી પરેશ ધાનાણીએ સંવેદના વ્યક્ત કરી હતી. નરાધમો બેફામ ફરી રહ્યા છે, અને નિર્ભયાઓ થરથર કાંપી રહી છે, ત્યારે આજની નારી શક્તિ અવાજ ઉઠાવશે, અને તે અવાજ કોંગ્રેસનો અવાજ હશે તેવું પરેશ ધાનાણીએ જણાવી સરકાર સામે મોરચો ખોલ્યો હતો.