Connect Gujarat
ગુજરાત

અમરેલી : પૌત્રએ દાદા પાસેથી જાણી જુનવાણી પરંપરા, પૌત્ર બળદગાડામાં જાન લઇ પહોંચ્યો મંડપમાં

અમરેલીના દિતલા ગામના એક વરરાજા શણગારેલા બળદગાડામાં જાન લઇને કન્યાને પરણવા નીકળ્યાં હતાં.

X

કોરોનાના કહેર બાદ લગ્નસરાની મોસમ પુરબહારમાં ખીલી છે અને વરરાજાઓ લગ્નને યાદગાર બનાવવા માટે અવનવા કિમિયા અજમાવી રહયાં છે. અમરેલીના દીતલા ગામના વરરાજા નવ શણગારેલા બળદગાડામાં લગ્ન મંડપમાં પહોંચ્યાં હતાં દિવાળી બાદથી લગ્નસરાની સિઝન ચાલુ થાય છે. કોરોનાના કેસ ઓછા થતાં લગ્નપ્રસંગો પણ ધામધુમથી ઉજવવામાં આવી રહયાં છે. લગ્નને યાદગાર બનાવવા માટે વર પક્ષ અને કન્યા પક્ષ તરફથી અજબ ગજબની તરકીબો અજમાવવામાં આવી રહી છે. કોઇ હેલીકોપ્ટર લઇને તો કોઇ બુલેટ લઇને જાન કાઢી રહયાં છે. અમરેલીના દિતલા ગામના એક વરરાજા શણગારેલા બળદગાડામાં જાન લઇને કન્યાને પરણવા નીકળ્યાં હતાં.

વરરાજાનું નામ છે હેનિલ ડોબારીયા.. હેનિલનો પરિવાર રોજગારી માટે સુરતમાં સ્થાયી થયો છે. હેનિલને તેના દાદા પાસેથી તેમના જમાનામાં કઇ રીતે જાન નીકળતી હતી તે જાણવા મળ્યું હતું. જુના જમાનામાં બળદગાડાઓમાં જાન નીકળતી હતી. હેનિલે પણ બળદગાડામાં જાન લઇ જવાનો નિર્ણય કર્યો હતો. હેનિલના લગ્ન દિતલાથી આઠ કિમીના અંતરે આવેલાં નેસલા ગામમાં નકકી થયાં હતાં. છેલ્લા ત્રણ મહિનાથી નવ જેટલાં બળદગાડાઓને શણગારવાનું શરૂ કરી દેવાયું હતું. અંતે સાજનમાજન બળદગાડામાં સવાર થઇ દિતલાથી નેસડી ગામે પહોંચ્યાં હતાં. ગામડાઓમાં હવે ટ્રેકટર તથા મીની ટ્રેકટર આવી જતા બળદગાડાઓનો ઉપયોગ નહિવત થઇ ગયો છે. મોટાભાગના ગામડાઓમાં બળદગાડાઓ જોવા મળે છે પણ તે ઉપયોગમાં લેવાતાં નથી. વર્ષો બાદ દિતલા અને નેસડી ગામના લોકોએ બળદગાડામાં સવાર થઈને આવેલી જાન જોતા મોટી ઉમરના લોકોને ભૂતકાળની યાદો તાજી થઈ હતી.

Next Story