કોરોનાથી કોણ મરશે તેનું લિસ્ટ ભગવાને બનાવ્યું છે', આસામના મંત્રીનો જાહેરમાં બફાટ
આસામ સરકારના એક મંત્રી કોરોનાને ભગવાનના કોમ્પ્યુટર પર બનેલો રોગ ગણાવી રહ્યા છે. તેમના કહ્યાં અનુસાર, "કોરોનાથી કોણ મૃત્યુ પામશે તેની લિસ્ટ ભગવાને બનાવી છે". તે ઉપરાંત તેમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પર પણ નિષ્ફળતાનો આરોપ લગાવ્યો હતો.
ભાજપના નેતા અને આસામના પરિવહન મંત્રી ચંદ્રમોહન પટવારીએ બુધવારે ગુવાહાટીમાં રાજ્ય સરકારની એક યોજના હેઠળ લાભાર્થીઓને આર્થિક મદદ માટે આયોજિત કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું. ચંદ્રમોહન પાસે પરિવહન, ઇન્ડસ્ટ્રી અને વાણિજ્ય જેવા ત્રણ મહત્વપૂર્ણ મંત્રાલય છે. પટવારીએ કહ્યું કે, "પ્રકૃતિએ નક્કી કર્યું છે કે કોણ કોરોના વાયરસથી સંક્રમિત થશે, કોણ સંક્રમિત નહીં થાય અને કોણ તેનાથી મૃત્યુ પામશે.
આ ભગવાનના સુપર કોમ્પુટરથી થઈ રહ્યું છે, જે માનવ સર્જિત નથી. કોમ્પ્યુટરે કોરોના વાયરસને પૃથ્વી પર મોકલવાનો નિર્ણય કર્યો અને તેમાં મૃત્યુઆંક 2 ટકા નક્કી કરવામાં આવ્યું હતું". ચંદ્રમોહને કહ્યું હતુ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)અને તેના વૈજ્ઞાનિકો કોરોના વાયરસથી સારવાર માટે ની દવા શોધવામાં નિષ્ફળ રહ્યા છે. પ્રકૃતિએ માનવતા સામે યુદ્ધ શરૂ કર્યું છે.
આસામની ભાજપ સરકારના મંત્રી ચંદ્રમોહનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારતે એક દિવસમાં એક કરોડથી વધુ કોરોના વેક્સિન લગાવીને સમગ્ર વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. PM નરેન્દ્ર મોદીએ આ માટે અભિનંદન પાઠવ્યા છે અને બિલ ગેટ્સ જેવા વિશ્વના પ્રખ્યાત દિગ્ગજે પણ ભારતની પ્રશંસા કરી છે.