-
બનાસકાંઠામાં સરહદી સુરક્ષામાં વધારો
-
ભારત પાકિસ્તાન સરહદનાં ગામની સુરક્ષામાં વધારો
-
122 ગામ સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ
-
સ્થાનિક લોકોને વિશેષ ટ્રેનિંગ પણ અપાઈ
-
સાયરન ત્રણ કિ.મી કરતા વધુની ધરાવે છે રેન્જ
બનાસકાંઠા જિલ્લામાં સરહદી સીમા સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.સરહદી વાવ-સુઈગામ તાલુકાના 122 ગામો સાયરન એલર્ટ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે. રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે, જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલએ જણાવ્યું કે, તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાને લઈને વાવ અને સુઈગામ તાલુકાના આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવવામાં આવી હતી. આ સાયરન સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવે છે.
સુઈગામના પ્રાંત અધિકારી ડો.અરવિંદકુમાર પ્રજાપતિએ જણાવ્યું કે, સરહદી વિસ્તારમાં સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે. વાવ સુઈગામ વિસ્તારના તમામ ગામોમાં સાયરન સિસ્ટમ લગાવવામાં આવતા હવે નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત કરી શકાય છે. સાયરન માટે મોકડ્રીલ અને તાલીમનું પણ આયોજન કરાયું હતું. તત્કાલિક નાગરિક પ્રતિભાવ માટે સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે. સરહદી વિસ્તારના લોકો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વેલ ટ્રેઈન બન્યા છે.