-
થરાદનો ગોસ્વામી પરિવાર કાળનો કોળિયો બન્યો
-
મુખ્ય નર્મદા કેનાલમાં કાર ખાબકતા સર્જાયો અકસ્માત
-
પતિ પત્ની સહિત ત્રણ પુત્રીઓના કરુણ મોત
-
કેનાલના પાણીમાં લાપતા બનેલી મહિલાની શોધખોળ
-
આખો પરિવાર મોતને ભેટતા છવાયો શોકનો માહોલ
બનાસકાંઠામાં ફરી એક ગોઝારી ઘટના પ્રકાશમાં આવી છે. વાવના દેવપુરા નજીક મુખ્ય નર્મદા કેનાલમાં કાર ખાબકતા ગોસ્વામી પરિવારના દંપતી સહિત ત્રણ પુત્રીઓના કરૂણ મોત નિપજ્યા છે,સર્જાયેલા અકસ્માતમાં કેનાલમાં લાપતા બનેલી મહિલાની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે.
બનાસકાંઠાના થરાદ નજીક વાવ તાલુકાના દેવપુરા પાસે બુધવારે સાંજે નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હતી. આ દુઘર્ટનામાં કિયાલ ગામનો યુવક તેની ત્રણ પુત્રીઓના ડુબી જતા મોત થયા હતા. જ્યારે તેની પત્ની પાણીમાં ગરકાવ થઈ જતા ફાયર વિભાગની ટીમ સહિત અધિકારીઓ દ્વારા મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
થરાદ તાલુકાના કિયાલ ગામના નવીન જીવાપુરી ગોસ્વામી ઉ.વ.30, હેતલબેન નવીનપુરી ગોસ્વામી ઉ. વ. 28, કાવ્યા નવીનપુરી ગોસ્વામી ઉ.વ. 06, મીનલ નવીનપુરી ગોસ્વામી ઉ.વ. 03, પિયુ નવીનપુરી ગોસ્વામી ઉ.વ.02 બુધવારે કાર લઇ દિયોદરના ભેસાણ ગામે ગોગા મહારાજના દર્શન કરવા ગયા હતા. જ્યાંથી ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે થરાદ નજીક વાવ તાલુકાના દેવપુરા પાસે કાર કેનાલમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં પિતા, ત્રણ પુત્રીઓના પાણીમાં ડુબી જતાં મોત થયા હતા. જ્યારે હેતલબેન પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
ઘટનાસ્થળે દોડી ગયેલા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, થરાદ ડીવાયએસપી એસ. એમ. વારોતરીયા, થરાદ પીઆઈ આર.આર રાઠવા, થરાદ મામલતદાર, વાવ પીઆઇ સહિત સ્થાનિક યુવકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.
ચારેય મૃતદેહો બહાર કાઢી પીએમ માટે થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે લાપત્તા બનેલી મહિલાની મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરી હતી.ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં ગોસ્વામી પરિવાર દુઃખદ મોતને ભેટતા પરિવારજનો,સ્વજનો અને ગામમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.