New Update
-
ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ
-
રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી
-
સામાજિક આગેવાનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો
-
આજે વધુ એક યુવાને નદીમાં મોતની છલાંગ લગાવી
-
જાળીની કામગીરી વહેલી શરૂ કરવા માંગ
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે જે બદલ સામાજિક આગેવાનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું.
ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ બદલ સામાજિક આગેવાનોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જો કે આજરોજ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો આજે વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.યુવાને મોપેડ બ્રિજ પર મૂકી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી ત્યારે બ્રિજની બન્ને તરફ જાળી વહેલી તકે લગાવવામાં આવે એ અત્યંત જરૂરી છે..