ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર આમલાખાડી નજીક કાસમાં ટ્રેલર ખાબકતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર આમલાખાડી નજીક કાસમાં એક ટ્રેલર ખાબક્યું હતું. મળતી માહિતી અનુસાર આમલાખાડી નજીક માર્ગ પરથી પસાર થતી વેળા ટ્રેલરના ચાલકે સ્ટિયરિંગ પરથી અચાનક પોતાનો કાબૂ ગુમાવ્યો હતો. આ દરમ્યાન ટ્રેલર વરસાદી કાસમાં ખાબક્યું હતું. જોકે, ટ્રેલર ધડાકાભેર ભટકાતાં ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં હાજર અન્ય લોકોની મદદથી ટ્રેલર ચાલકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, ત્યારે હાલ અંકલેશ્વર શહેર બી’ ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.