-
અંકલેશ્વરમાં ફરીવાર સર્જાય દુર્ઘટના
-
ગુજરાત ગેસની લાઇનમાં સર્જાયું ભંગાણ
-
નોટીફાઇડ એરીયા ઓથો.ની ચાલી રહી હતી કામગીરી
-
તાત્કાલિક માર્ગ કોર્ડન કરવામાં આવ્યો
-
ગુજરાત ગેસના અધિકારીઓ દોડી આવ્યા
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ માનવ મંદિર નજીક નોટીફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા ફેન્સીંગ વોલનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખોદકામ કરતાં ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેના પગલે તાત્કાલિક માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને આ અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવી હતી.
બનાવની જાણ થતા જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટર તેમજ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગેસની લાઈન બંધ કરી યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બે થી ત્રણ વાર ડી.જી.વી.સી.એલ.ની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું ત્યારે વારંવાર ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા પુરવઠાને અસર પહોંચી રહી છે ત્યારે ખોદકામ દરમિયાન સાવચેતી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે.