અંકલેશ્વરમાં વિકાસના કામોનો ધમધમાટ
માર્ગોના સમારકામની કામગીરી શરૂ કરાઇ
ભરૂચીનાકા સુધીના માર્ગની કામગીરી
તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત
વાહનચાલકોને થશે રાહત
અંકલેશ્વર પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે ત્યારે શહેરમાં માર્ગોના નવીનીકરણની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.અંકલેશ્વર ઓએનજીસીથી સંત શ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ, ભરૂચી નાકા સુધીના સ્ટેટ હાઇવેનો માર્ગ નગરપાલિકાએ પોતાના હસ્તગત લીધા બાદ તાજેતરમાં જ આ માર્ગની કામગીરીનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું ત્યારે વરસાદે પણ વિરામ લીધો છે એવા સમયે માર્ગના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.
અંકલેશ્વરના હાર્દ સમાન આ માર્ગ અત્યંત બીસ્માર હાલતમાં થઈ ગયો હતો જેના કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા પરંતુ હવે માર્ગનું નવીનીકરણ શરૂ થઈ જતા વાહન ચાલકોને રાહત સાંપડશે. સત્તા પક્ષની સાથે વિપક્ષ પણ આ કામગીરીને આવકારી રહ્યું છે અને આવનારા સમયમાં શહેરના મોટાભાગના તમામ માર્ગોનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યું છે.