જુના ને.હા.નં 8 પર રસ્તો ખોદી નાખતા હાલાકી
એક તરફનો વાહન વ્યવહાર બંધ રહેતા ટ્રાફિક સર્જાયો
સાંકડા માર્ગ પરથી બંને તરફનો વાહન વ્યવહાર કાર્યરત
પોલીસતંત્ર માટે ટ્રાફિકની સમસ્યા વિકટ બની
યુદ્ધના ધોરણે માર્ગ બનાવવા માટે વાહન ચાલકોની માંગ
અંકલેશ્વરમાં જુના નેશનલ હાઇવે નંબર 8 મહાવીર ટર્નિંગ પાસે એક તરફનો રોડ ખોદીને નવો માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.જેના કારણે બીજી તરફ કાળઝાળ ગરમીમાં ભારે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે.
અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 મહાવીર ટર્નિંગથી ઉમા ભવન ફાટક સુધી એક તરફનો માર્ગ રાતોરાત ખોદી નાખવામાં આવ્યો છે,અને બીજી તરફના સાંકડા માર્ગ પરથી બંને બાજુનો વાહન વ્યવહાર ચાલી રહ્યો છે.જોકે માર્ગની મરામતને પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો છે,અને અસહ્ય ગરમીમાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન થઇ ગયા છે.
ટ્રાફિકજામની સ્થિતિને હળવી કરવા માટે પ્રયત્નો કરતા પોલીસ તંત્ર માટે પણ આ સમસ્યા વિકટ બની ગઈ છે.અને રાતો રાત રસ્તાને ખોદી નાખ્યા બાદ યુદ્ધના ધોરણે રસ્તો બનાવવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે.