New Update
-
અંકલેશ્વરના ત્રણ રસ્તા નજીક આવેલું છે શાકમાર્કેટ
-
શાકમાર્કેટના દબાણો દૂર કરાતા થયો હતો વિવાદ
-
મહિલા વેપારીઓએ નગર સેવાસદનમાં કરી હતી રજુઆત
-
તંત્ર દ્વારા વેપારીઓ માટે જગ્યાની કરાય ફાળવણી
-
ટ્રાફિકને અડચણરૂપ થશે તો કરાશે કાર્યવાહી
અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક શાકભાજી માર્કેટના દબાણ હટાવવા બાબતે થયેલ વિવાદનો અંત આવ્યો છે.નગર સેવાસદને માનવતાવાદી અભિગમ દાખવી વેપારીઓ માટે વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરી છે
અંકલેશ્વર નગરપાલિકાએ તાજેતરમાં ત્રણ રસ્તા શાક માર્કેટમાં જાહેર માર્ગ પરથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી જેના પગલે પથારાવાળાઓએ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા 25 વર્ષથી તેઓ આ સ્થળે વેપાર કરી રહ્યા છે અને તેમના પરિવારનું ગુજરાન શાકભાજી વેચવા પર જ ચાલે છે ત્યારે અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા માનવતાવાદી અભિગમ અપનાવવામાં આવ્યો છે. અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ શાકમાર્કેટની મુલાકાત લીધી હતી જ્યાં શાકભાજી વેચતા વેપારીઓ માટે એક સૂનિશ્ચિત જગ્યા ફાળવવામાં આવી છે.
નગર સેવા સદન દ્વારા જે હદ નક્કી કરાઈ છે તેની અંદર જ વેપારીઓ શાકભાજીનું વેચાણ કરી શકશે.આ અંગે નગર સેવા સદનની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલે જણાવ્યું હતું કે ત્રણ રસ્તા સર્કલ નજીક ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિકજામની વિકટ સમસ્યા હતી જેના પગલે દબાણો દૂર કરવામાં આવ્યા હતા પરંતુ આસપાસના ગામોમાંથી વિધવા મહિલાઓ શાકભાજી વેચવા માટે આવે છે ત્યારે તેઓ સામે માનવતાવાદી અભિગમ દાખવી તેઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરવામાં આવી છે પરંતુ તેઓ જો મુખ્ય માર્ગને અડીને વેપાર કરશે અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાશે તો ફરીથી દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે