New Update
-
ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના પ્રગતિશીલ ખેડૂત
-
ખેડૂતે 3 વીઘામાં મરચાની સફળ ખેતી કરી બતાવી
-
મરચાની ખેતી કરી રૂ. 5થી 6 લાખનો નફો મેળવ્યો
-
અન્ય ખેડૂતોને પણ મરચાની ખેતી કરવા પ્રેરણા આપી
-
પ્રાકૃતિક ખેતી કરી જમીનને બચાવીએ : દિક્ષીત દેસાઈ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ખેડૂતે 3 વીઘામાં મરચાની ખેતી કરી 5થી 6 લાખનો નફો મેળવી અન્ય ખેડૂતોને પણ મરચાની ખેતી કરવા પ્રેરણા આપી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત દિક્ષીત રમેશભાઈ દેસાઈએ મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેઓ મરચાની પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂપિયા 5થી 6 લાખ સુધી ચોખ્ખો નફો મેળવી રહ્યા છે. આ સાથે જ પ્રાકૃતિક કૃષિ થકી પ્રકૃતિનું જતન પણ કરી રહ્યા છે. બી.એસ.સી. કેમિસ્ટ સાથે સ્નાતક થયેલા ખેડૂત દિક્ષીત દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2008ના વર્ષથી ખેતી તેઓ સાથે સંકળાયેલા છે. તે સમયે નોકરી પણ મળી શકે તેમ હતી. પરંતુ ખેતીમાં વધુને વધુ રસ હોવાથી તેઓ ખેતી તરફ વળ્યાં હતા. શરૂઆતમાં રાસાયણિક ખેતી કરી પરંતુ છેલ્લા 4 વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું છે. તેના પરિણામે ગુણવત્તાયુક્ત ઉત્પાદન પણ મેળવાય છે. તેઓએ પ્રાકૃતિક ખેતીના અનુભવ વર્ણવતા ઉમેર્યું હતું કે, શરૂઆતમાં 2 વર્ષ પ્રાકૃતિક કૃષિથી ઓછું ઉત્પાદન થયું હતું. પરંતુ બાદમાં ઉત્પાદન વધતું જાય છે, અને ખર્ચ શૂન્ય થાય છે. સાથે જ જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે.
આત્મા પ્રોજેક્ટ અંતર્ગત મેળવેલી તાલીમના આધારે 7 વીઘા જમીનમાં મિશ્ર પાક પદ્ધતિથી ખેડૂતે પાક ઉત્પાદન મેળવ્યો છે. જોકે, ચાલુ વર્ષે લીધેલા મરચીના પાકમાંથી 5 લાખ રૂપિયાનો નફો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો આજે આપણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો જ આવતી પેઢી માટે જમીન બચાવી તેમ પ્રગતિશીલ ખેડૂતે જણાવ્યું હતું.
Latest Stories