ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર ગામ નજીક આવેલ ખાડીમાં રહસ્યમય સંજોગોમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતથી ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર નજીક આવેલ ખાડીમાં મોટી સંખ્યામાં મૃત હાલતમાં માછલીઓ નજરે પડી હતી. જે બાદ રતનપુરના ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા આ વાતની GPCBને ટેલીફોનિક જાણ કરાતા GPCB દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જોકે, આ ખાડીના ઉપરના ભાગે આવેલ કેટલાક સિલિકાના પ્લાન્ટોમાંથી પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે.
રતનપોરના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ ખાડીના પાણીમાં ગ્રામજનો દ્વારા કપડાં ધોવામાં આવે છે, તેમજ પશુઓ પણ આ ખાડીમાં જ પાણી પીવા આવે છે. જેથી કોઈ મનુષ્ય અને પશુઓને પણ નુકશાન થાય તેવી દહેશત લોકોમાં ઊભી થઈ છે, ત્યારે હાલ તો આ પ્રદૂષિત પાણી કોના દ્વારા છોડવામાં આવ્યું છે, અને શું એ પાણી પ્રદુષિત છે કે, કેમ તે તો હવે GPCB જો તપાસ કરે બાદ જ માલુમ પડશે તેવું ગ્રામજનોએ જણાવ્યુ હતું.