-
વાગરાના કલાદરા ગામના ખેડૂતોને પડી રહી છે હાલાકી
-
JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ કંપનીની કામગીરી સામે રોષ
-
ખેતરમાં જતો માર્ગ બંધ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ
-
ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન આપી રજૂઆત કરી
-
વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને પણ રજૂઆત કરાય
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામે JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની દ્વારા ખેતરમાં જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામે આવેલી JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની દ્વારા હાલમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જેમાં કંપનીની પાછળ આવેલાં ખેતરોને જોડતો રસ્તો પણ કંપની દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યાં ખેતરોને જોડતા માર્ગ પર દિવાલ બનાવી દેતાં 250થી 300 એકર જેટલી જમીનના 70થી 80 ખેડૂતો પોતાના ખેતર સુધી જઇ શકતાં નથી. જેના કારણે તેઓ ખેતીમાંથી પણ કોઇ ઉપજ મેળવી શકતાં નથી. આ મામલે ગામના અસરગ્રસ્ત ખેડૂતો તેમજ આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું. જેમાં કંપની પાછળ આવેલ ખેતીની જમીન સુધી જવાનો રસ્તો ખુલ્લો કરાય તે માટે રજૂઆત કરાય હતી. ઉપરાંત ખેડૂત આગેવાનોએ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાને પણ આ મામલે રજૂઆત કરી તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવા માગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાગરા તાલુકામાં આવેલી વિવિધ GIDCઓમાં દિન પ્રતિદિન નવી નવી કંપનીઓનું નિર્માણ થઇ રહ્યું છે. ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનો કંપનીઓ માટે આપી છે, ત્યારે વિકાસ માટે પોતાની જમીનો આપનાર ખેડૂતો હાલમાં પોતાની બાકી રહેલી ખેતી લાયક જમીન સુધી જવા માટેના રસ્તા માટે વહિવટી તંત્ર સામે કરગળી રહ્યાં છે.