વાગરા તાલુકાના ગંધાર ગામ ખાતે આયોજન કરાયું
સમસ્ત આહિર-ભરવાડ સમાજ દ્વારા આયોજન કરાયું
શ્રીમદ ભાગવત કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો
ગંધાર ગામે નીકળેલી પોથીયાત્રામાં નગરજનો જોડાયા
કથા શ્રવણનો લ્હાવો લેવા આહિર સમાજ દ્વારા અપીલ
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગંધાર ગામમાં સમસ્ત આહિર સમાજ તથા ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથા પ્રારંભે આયોજિત પોથીયાત્રામાં નગરજનો જોડાયા હતા.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગંધાર ગામ સ્થિત શ્રી બીલીઆઈ માતા તથા શ્રી મુગલાઇ માતાના મંદિરના પટાંગણમાં તા. 9થી 15 નવેમ્બર-2025’ સુધી 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કથાના પ્રારંભે સત્યનારાયણ ભગવાનની કથા બાદ પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગંધાર ગામમાં નીકળેલી પોથીયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ત્યારબાદ મહાનુભવોના હસ્તે દીપપ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સતત 7 દિવસ કથાકાર શાસ્ત્રી વિનોદ ભટ્ટ દ્વારા અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવવામાં આવશે.
આ સાથે જ અખંડ હવન, રાસ-ગરબા, જાગરણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવત કથાનો મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા લ્હાવો લે તે માટે સમસ્ત ભરૂચ જિલ્લા આહિર સમાજ તથા ભરવાડ સમાજ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. આ પ્રસંગે કથાકાર વિનોદ ભટ્ટ તથા ભરૂચ સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ સહિત સમસ્ત આહિર સમાજ અને ભરવાડ સમાજના આગેવાનો, સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.