-
હિન્દુ સંસ્કૃતિમાં દાન-પુણ્યનો મહાપર્વ એટલે મકરસંક્રાંતિ
-
મકરસંક્રાંતિની ઉજવણીને લઇ પાંજરાપોળ દ્વારા આયોજન
-
લોકોને અગવડતા ન પડે માટે પાંજરાપોળ ટ્રસ્ટની તૈયારી
-
પાંજરાપોળ ખાતે ગૌપુજન સહિતની વિશેષ વ્યવસ્થા કરાય
-
ગાય માટે લીલું ઘાસ અને પૂજા માટે ગૌપૂજારી હાજર રહેશે
મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા, જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, અને ગૌપૂજન કરવામાં આવે છે, ત્યારે મકરસંક્રાંતિની ઉજવણીને લઈને ભરૂચ શહેરના પાંજરાપોળ ખાતે ગૌપૂજન માટે આવતા લોકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
મકરસંક્રાંતિના દિવસે પુણ્ય-દાન કરવાનો અનેરો મહિમા રહ્યો છે. દાન-પુણ્ય કરવા માટેનું મહાપર્વ મકરસંક્રાંતિનો ઉત્સવ એ પ્રકૃતિનો ઉત્સવ છે. સમગ્ર ભારતના લોકો મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે. આ દિવસે તલના લાડવામાં પૈસો મુકીને ઘણા લોકો ગુપ્તદાન પણ કરતાં હોય છે. ઉપરાંત ગાયોને ઘાસચારો પણ આપવામાં આવે છે, ત્યારે ભરૂચવાસીઓ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે લોકો ગાયની પૂજા તેમજ ઘાસ અને ઘૂઘરી ખવડાવવા માટે ઉમટી પડશે.
જેને ધ્યાનમાં રાખીને પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારાના જણાવ્યા અનુસાર, ગૌ ભક્તોને કોઈ અગવડ ન પડે અને સુગમતાથી ગૌ પૂજા કરી શકે તે માટે પાંજરાપોળ ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ગાયને ખવડાવવા લીલું ઘાસ સ્થળ પર જ હાજર મળશે. એટલું જ નહીં, ગાયની પૂજા માટે ગૌપૂજારી પણ દિવસ દરમ્યાન હાજર રહેશે. વધુમાં શહેરની જનતાને અપીલ કરતા તેઓએ જણાવ્યું હતું કે, વધુ પડતી ઘુઘરી ખવડાવવાથી ગાય બીમાર પડી શકે છે. તેથી ગાયને મકરસંક્રાંતિના દિવસે વધુ ઘૂઘરી ન ખવડાવતા ફક્ત પ્રતિકાત્મક રૂપે ઘુઘરી ખવડાવવા અપીલ કરવામાં આવી છે.