મૃતકની ઓળખ કરવામાં સફળતા મળી, હવે હત્યારાની ધરપકડ માટે કવાયત
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી શનિવારે સમી સાંજના સમયે માનવ શીશ મળી આવ્યું હતું. શ્વાનો માનવશિશને ચૂંથી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી.
આ અંગે પોલીસ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી દરમિયાન રવિવારે સવારના સમયે કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો તો રવિવારે સાંજે જ આ ગટરની સામે આવેલ ગટરમાંથી એક હાથ મળી આવ્યો હતો. તો સોમવારે સવારે પણ એક હાથ મળી આવ્યો હતો પોલીસે આમ આ મામલામાં મૃતકની ઓળખ કરવા માટે વિવિધ ટીમો બનાવી હતી ત્યારે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.
મૃતક ભરૂચની શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ વેદાંત સોસાયટીમાં રહેતો 34 વર્ષીય સચિનકુમાર પ્રવિણસિંહ ચૌહાણ હોવાનું ખુલ્યું છે. સચિન ચૌહાણ તથા તેની પત્નિ પારૂલબેન તથા છોકરો શિવા સાથે હોળીના તહેવાર માટે વતનમાં ગયા હતા ત્યાર બાદ પત્ની અને બાળકોને ત્યાં મુકીને 6 માર્ચ 2025ના રોજ પરત ભરૂચ ખાતે આવ્યો હતો.
જ્યારે 23 મી માર્ચના સાંજના આઠ વાગે સચિને તેની પત્ની પારુલને ફોન કરીને તેમને લેવા જવાની વાત કરી હતી ત્યાર બાદ સચિનનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. જેથી સચીનના ભાઈએ 28 મી માર્ચ 2025 ના રોજ ભરૂચ આવીને તપાસ કરતા તેના ઘરે તાળું મળી આવ્યું હતું. સચિનનો કોઈ પત્તો ન લાગતા તેણે ગુમ થવા અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
ગટરમાંથી મળેલ હાથ પરના ટેટુના આધારે પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી હોવાનું જાણવા મળ્યું છે. મામલામાં મૃતક સચિનની ઘાતકી હત્યા કરવામાં આવ્યા બાદ તેના અંગો કાપી પોલીસને ગુમરાહ કરવા માટે ગટરમાં અલગ અલગ જગ્યાએ ફેંક્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસે હત્યારાને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.