-
આર્મીમાં નોકરી આપવાનો મામલો
-
ભેજાબાજોએ રૂ.7 લાખ પડાવી લીધા
-
રૂપિયા પરત ન કરી રચ્યો હતો કારસો
-
ફરિયાદીને બંધક બનાવી માર્યો હતો માર
-
પોલીસે વધુ ત્રણ આરોપીની કરી ધરપકડ
અંકલેશ્વરમાં આર્મીમાં નોકરી આપવાનું કહી 7 લાખ પડાવી લીધા બાદ યુવાન અને મંગેતરને બંધક બનાવી માર મારી જાનથી મારી નાખવાની કોશિષ કરવાના ગુનામાં સંડોવાયેલ વધુ ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા.
ગીર સોમનાથના જગતીયા ગામના રાજદીપ મકવાણા ખેત મજૂરી અને હીરા ઘસવાનું કામ કરે છે. તેઓનો પરિચય ખેતમજૂરી ચિત્રાસર ગામના રાજેશ ઉર્ફે રાજા બાબુભાઇ બામણીયા સાથે થયો હતો.સુરત હીરા ઘસવા જતા ત્યાં પણ ઓળખાણને લઇ પરિચય વધ્યો હતો. તે દરમિયાન રાજેશ ઉર્ફે રાજાએ આર્મીમાં નોકરી અપાવવાની લાલચ આપી 7 લાખ રૂપિયાના વહીવટ કરવા જણાવ્યું હતું.જે સાંભળી રાજદીપ મકવાણા નોકરી મળવાની વાતને લઇ 7 લાખ રૂપિયા આપ્યા હતા.જો કે 2023માં રૂપિયા આપ્યા બાદ પણ નોકરી નહિ મળતા અંતે રૂપિયા પરત માંગવાની શરૂઆત કરી હતી.જોકે તેઓને રૂપિયા પરત મળ્યા નહોતા.
ત્યાર બાદ ભેજાબાજોએ રાજદીપ મકવાણાને વડોદરાથી ભરૂચ ખાતે મળવા માટે બોલાવ્યા હતા. અને ગોલ્ડન બ્રિજના દક્ષિણ છેડે મુલાકાત થઇ હતી.જોકે રૂપિયા પરત આપવાની બાબતે રાજદીપ મકવાણાને બંધક બનાવીને આરોપીઓએ માર માર્યો હતો. અને રાજદીપને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.અને તેની મંગેતરનું પણ ગળું દબાવતા તેની પણ બેભાન અવસ્થામાં ઢળી પડી હતી.અને ઝાડી ઝાંખરામાં આખી રાત બંધક બનાવીને રાખ્યા હતા.અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આરોપીઓ સાથે ગયા હતા,અને માથામાં કામ કરતી વેળાએ ઈંટ વાગી હોવાની કેફિયત જણાવી હતી.અને રાજદીપને પોલીસ અન્ય કોઈને જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જોકે આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ગણતરીના દિવસોમાં અમરેલીના રાજેશ ઉર્ફે રાજાભાઈ બામણીયા અને તેના સાગરીત વિશાલ ગોસ્વામીની ધરપકડ કરી હતી,અને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.અને વધુ ત્રણ આરોપી રાજેશ ઉર્ફે લંબુ પટેલ,સુજલ વિનોદ વસાવા તેમજ જસવિંદર સિંઘ દિગપાલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.