-
પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો
-
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરાયું આયોજન
-
માતરીયા તળાવ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું
-
લોકોએ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવા પ્રતિજ્ઞા લીધી
-
પાલિકા અને વન કર્મચારીઓ સહિત નાગરિકો જોડાયા
ભરૂચ શહેરના માતરીયા તળાવ ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જનજાગૃતિ લાવવા માટે રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરના માતરીયા તળાવ ખાતે GPCB દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશ સાથે સફાઈ અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન GPCB તરફથી ટોપી, કાપડની બેગ તથા તુલસીના છોડનું વિતરણ કરી પ્લાસ્ટિક મુક્ત જીવનશૈલી તરફ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ લોકોએ પ્લાસ્ટિકનો યોગ્ય રીતે નિકાલ કરવાની પ્રતિજ્ઞા લઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરો એકત્ર કરી તેને પાલિકા સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
આ અભિયાનમાં આશરે 200 જેટલા નાગરિકો સહિત GPCBના અધિકારીઓ, નગરપાલિકા અને વન વિભાગના કર્મચારીઓ તેમજ શહેરના સામાજિક રીતે સજાગ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે GPCBના રિજનલ ઓફિસર કે.એન.વાઘમશીએ પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જાગૃતિ વધારતી માહિતી આપી નાગરિકોમાં આ બાબતે સંવેદના જાગૃત કરી હતી. એટલું જ નહીં, આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજી શહેરને સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવામાં સૌના સહયોગથી યોગદાન આપવું અત્યંત જરૂરી હોવાનું જણાવ્યુ હતું.