અંકલેશ્વરમાં મુશળધાર વરસાદને પગલે સંજયનગરમાં પાણી ભરાયા,વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા પણ કોઈ નિરાકરણ નહીં!

ગુજરાત | Featured | સમાચાર,ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા સતત વરસાદ વરસી રહ્યો છે,અને ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું

New Update
ભરૂચ જિલ્લામાં વરસાદે બોલાવી ધબધબાટી 
અંકલેશ્વરમાં 2.6 ઇંચ વરસાદ ખાબક્યો 
નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં ભરાયું પાણી 
શહેરના સંજયનગરમાં વરસાદી પાણીથી લોકોને હાલાકી 
ન.પા.પાસે પાણીના નિકાલનું કોઈજ સમાધાન નહીં 
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરતા સતત વરસાદ વરસી રહ્યો છે,અને ભરૂચ સહિત અંકલેશ્વરમાં પણ અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે,જ્યારે અંકલેશ્વરમાં 2.6 ઇંચ વરસાદ ખાબકતા નગરપાલિકા પ્રમુખના વોર્ડ સંજયનગરમાં પાણી ભરાયા હતા.જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જેને પગલે તારીખ 2જી સપ્ટેમ્બરથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.જાણવા મળ્યા મુજબ અંકલેશ્વરમાં વીત્યા ચોવીસ કલાકમાં 2.6 ઇંચ વરસાદ વરસ્યો હતો,જેના કારણે અંકલેશ્વર શહેરના સંજયનગરમાં વરસાદી પાણી ભરાઇ જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સ્થાનિક રહીશોએ નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે વર્ષોથી સંજયનગરમાં પાણી ભરાવાની સમસ્યા છે,પરંતુ તેનું કોઈ જ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવતુ નથી,માત્ર ચૂંટણી સમયે મત માંગવા માટે નેતાઓ દોડી આવે છે તેઓ આક્ષેપ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે સંજયનગર નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતના વોર્ડમાં આવે છે,પાલિકા પ્રમુખનો વોર્ડ હોવા છતાં વરસાદી પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ ન હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે.જ્યારે આ અંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિતે કનેક્ટ ગુજરાત સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પાલિકા તંત્ર સંજયનગરની સમસ્યાથી પરિચિત છે અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ કરવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે,જે અંગે આવનાર સમયમાં તેની કામગીરી શરૂ કરવામાં આવશે.   
#solution #Ankleshwar #Rain #problem #waterlogged #Bharuch
Here are a few more articles:
Read the Next Article