પદયાત્રીઓને નડ્યો અકસ્માત
સોમનાથ હાઇવે પર સર્જાયો અકસ્માત
એસ.ટી બસના ચાલકે યાત્રીઓને લીધા અડફેટે
એક યાત્રીનું મોત,દસ લોકો થયા ઇજાગ્રસ્ત
પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી
ભાવનગર સોમનાથ હાઇવે પર પદયાત્રાએ જતા યાત્રીઓને એસટી બસના ચાલકે અડફેટમાં લીધા હતા.સર્જાયેલા અકસ્માતમાં એક યાત્રીનું મોત નીપજ્યું હતું,જ્યારે દસ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.
આણંદથી તળાજા તરફ ધાર્મિક યાત્રા પર નીકળેલા આશરે 25 જેટલા પદયાત્રીઓનો સંઘ ભાવનગર - તળાજા હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પુરપાટ ઝડપે દોડી રહેલી એસ.ટી.બસના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી. બસની ટક્કર એટલી ભયાનક હતી કે પદયાત્રીઓનું સહાયક વાહન પણ તેની ઝપેટમાં આવી ગયું હતું.સર્જાયેલી ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે દસ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ હાઇવે પર અફરાતફરી મચી ગઈ હતી.આસપાસના લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.