-
કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારની ચકચારી ઘટના
-
મોતીતળાવ વિસ્તારમાં નશાખોરોનો આતંક સામે આવ્યો
-
નશાખોરોએ 3 જેટલા વાહનો સળગાવી દેતા ચકચાર
-
કલાકો સુધી પોલીસ ન આવી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
ભાવનગર શહેરના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં નશાખોરોનો આતંક સામે આવ્યો છે. જેમાં 3 જેટલા વાહનો સળગાવી દીધા હોવાના આક્ષેપ કરાયા છે.
ભાવનગર શહેરમાં પોલીસ વિભાગની જાણે માઠી દશા બેઠી હોય તેમ અપરાધિઓ એક બાદ એક ગુનાઓને અંજામ આપી રહ્યા છે, જ્યાં કોર્ટ સંકુલમાં નશાખોર ઇસમે હોબાળો મચાવ્યો હોવાની ઘટના હજુ તાજી છે, ત્યાં શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાંથી ફરી એકવાર નશાખોરોનો આતંક સામે આવ્યો છે. શેરીમાં મકાન પાસે પાર્ક કરેલા 3 ટુ વ્હીલર વાહનોને કોઈ અજાણ્યા ઈસમોએ નશાની હાલતમાં સળગાવી દેતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. આગ લાગવાના આ બનાવમાં આશરે દોઢ લાખ રૂપિયાનું નુકશાન થયું હોવાનું રહીશોએ જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસ મથકમાં જાણ કરાય હોવા છતાં કેટલાક કલાકો સુધી પોલીસ જવાન બનાવ સ્થળે ન આવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.