બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના 174મા પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના 174મા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજથી 174 વર્ષ પહેલાં ગુરુ ગોપાલાનંદ સ્વામીએ હનુમાનજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. જે દિવસને સાળંગપુર હનુમાનજી દાદાના જન્મ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે આજના પાવન અવસરે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની પ્રતિમાને દિવ્ય વાઘા તેમજ અલગ અલગ પ્રકારની મીઠાઇનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી, પૂજન-અર્ચન, છડી પૂજન અને જળાભિષેક સહિત મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાનજી દાદાની પૂજા વિધિ બાદ યોજાયેલ ભક્તિસભામાં સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં હરીભક્તો ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.