ગીર પંથકમાં વન્ય પ્રાણીઓનો ડર
ખેડૂતોના જીવ પર સર્જાયું જોખમ
ખેતી પાકની જોખમરૂપ રખેવાળી
રાતે ઉજાગરા કરીને કરે છે રખેવાળી
ખેતરના સેઢે ફેન્સીંગની માંગ કરતા ખેડૂતો
જૂનાગઢ જિલ્લાના ગીર પંથકના ખેડૂતો હાલમાં કપરી સ્થિતિમાં મુકાઈ ગયા છે,એક તરફ વન્યજીવો સિંહ-દીપડાનો ડર છે તો બીજી તરફ કડકડતી ઠંડીમાં ખેતીના પાકના રક્ષણનો પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે.ત્યારે ખેડૂતો સરકાર પાસે વિનામૂલ્યે ફેન્સીંગની માંગ કરી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના ગીર પંથક જે એશિયાઇ સિંહોનું ઘર છે, ત્યાંના ખેડૂતો હાલ એક કપરી અને ભયજનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. એક તરફ કડકડતી ઠંડી છે અને બીજી તરફ સિંહ, દીપડા, ઝરખ જેવા હિંસક પ્રાણીઓ તથા ભૂંડ, રોઝ અને હરણ જેવા પશુઓના પાક નુકસાનના ત્રાસથી ખેડૂતોની રાતની ઉંઘ ઉડી ગઈ છે. પોતાના મોંઘા પાકને બચાવવા માટે આ ખેડૂતો હાથમાં માત્ર ટોર્ચ, લાકડી અને સ્વબચાવ માટેના સાધનો લઈને જીવના જોખમે રાતભર ખેતરના રખોપા કરવા મજબૂર બન્યા છે. તેમની એકમાત્ર માંગણી છે કે સરકાર દ્વારા ખેતરના સેઢે વિનામૂલ્યે તાર ફેન્સીંગ (વાડ) બનાવી આપીને તેમને આ બેવડા જોખમ સામે રક્ષણ આપવામાં આવે.
મેંદરડા તાલુકાના ડેડકયાળી ગામના ખેડૂત રમેશ કોરાટે પોતાની પીડા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે છેલ્લા ઘણા વર્ષોથી નહીં, પણ પેઢી દર પેઢીથી ખેતરમાં પાકના રખોપા કરીએ છીએ. ખેડૂત ખેતરમાં મગફળીનું બિયારણ વાવે ત્યારથી જ રખોપાનું કામ શરૂ થઈ જાય છે. સુવર, ભૂંડ, રોઝ અને હરણ જેવા પશુઓ ખેતરમાં આવીને પાકને ફીંદી નાખે છે.
આ નુકસાનથી બચાવવા માટે અમે રાત-દિવસ જોયા વગર ખેતરના રખોપા કરીએ છીએ.ખેતરો ગીરની મધ્યમાં આવેલા હોવાથી હિંસક પ્રાણીઓ જેવા કે સિંહ અને દીપડાના સતત આંટાફેરા રહે છે, જેના કારણે ખેડૂતોમાં હંમેશા ભયનો માહોલ રહે છે. રમેશભાઈએ કહ્યું કે જ્યારે અમે ઘરેથી ખેતરે જઈએ અને ફરી સહી સલામત પાછા ઘરે પહોંચીએ, ત્યારે જ ઘરના સભ્યોને હાશકારો થાય છે. હવે ખેતી કરવી એ જીવનું જોખમ લેવા બરાબર છે." આ પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકના ઉત્પાદનમાં પણ મોટું નુકસાન ભોગવવું પડે છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/28/junagadh-farmer-2025-11-28-18-36-06.png)
ડેડકીયાળી ગામના અન્ય એક ખેડૂત પરસોત્તમભાઈ ઢોલરીયાએ પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા કહ્યું કે, "ગીર વિસ્તારના ખેડૂતો માટે રાતના સમયે ખેતરમાં રખોપા કરવા એ સીધુ જીવનું જોખમ છે. હિંસક પ્રાણીઓની અવરજવર અને પશુઓ દ્વારા પાકને થતું નુકસાન, આ બે મુખ્ય કારણો છે.ખેડૂતોને ડર એટલો બધો છે કે તેઓ એકલા ખેતરે જઈ શકતા નથી. "છ થી સાત ખેતરના ખેડૂતો ભેગા મળીને, પોતાની સાથે ટોર્ચ, લાકડી અને સ્વબચાવ માટે અન્ય હથિયારો લઈને રખોપા કરવા જવું પડે છે.
ગીર પંથકના ખેડૂતોની આ વેદના એક ગંભીર મુદ્દો છે, જ્યાં વન્યજીવ સંરક્ષણ અને માનવ જીવન તથા ખેતીના રક્ષણ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.ખેડૂતોની માંગણી છે કે, હાલની મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે તેઓ ફેન્સીંગનો ખર્ચ ઉઠાવી શકે તેમ નથી.જો સરકાર દ્વારા 100 ટકા સહાય સાથે તેમના ખેતરના સેઢા પર મજબૂત તાર ફેન્સીંગ કરી દેવામાં આવે તો રાત્રિના રખોપા માંથી મુક્તિ મળે અને હિંસક પ્રાણીઓના હુમલાનો ભય ઓછો થાય.તેમજ ભૂંડ, રોઝ, અને હરણ જેવા પશુઓથી પાકને થતું નુકસાન અટકાવી શકાય.