/connect-gujarat/media/media_files/2025/01/17/aWOZ3rytLYKGRQCFEnvz.png)
અમદાવાદ ઇન્દોર હાઇવે પર ગુરૂવારે તારીખ16 જાન્યુઆરી રાત્રે માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે.
જાણવા મળ્યા મુજબ ગાય આડે આવતાં મહિસાગરના બાલાસોરના યુવકોની ઇકો કાર પલટી જતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
મહીસાગરના બાલાસોરના ઓથવાડ ગામના ચાર યુવકો પોતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો મંડપ નક્કી કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન વચ્ચે એકાએક ગાય આવી જતા કાર ચાલકે પોતાનો કાબૂ ગુમાવ્યો અને કાર પલટી ગઈ હતી.કાર એટલી ભયાનક રીતે પલટી કે, કારમાં બેઠેલા ચારેય યુવકના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
ઇકો કારમાં પાંચ લોકો સવાર હતા,જેમાંથી ચાર લોકો મોતને ભેટ્યા છે અને એક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ છે. મૃતકોની ઓળખ ઠાકોર સંજયભાઈ જશવંતભાઈ, ઠાકોર વિનુભાઈ ગબાભાઈ, ઠાકોર રાજેશકુમાર સાલભાઈ, ઠાકોર પુનાભાઈ ઉર્ફે પુજેસિંહ અર્જુનસિંહ તરીકે થઈ છે. ચારેય મૃતક મહીસાગરના બાલાસોરના ઓથવાડ ગામના રહેવાસી છે. ધાર્મિક કામે નીકળેલા લોકો અકસ્માતનો ભોગ બનતા શોકનો માહોલ સર્જાયો હતો.અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.