રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અભિયાન
‘ભાગીરથ અભિયાન’ ટીબી મુક્ત ભારતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
ગીરના અંતરિયાળ ગહન ગામડાઓ સુધી સારવાર પહોંચી
‘નિક્ષય મિત્રો’ના સમન્વયથી છેવાડાના માનવીનું મફત નિદાન
ટેકનોલોજીના સહારે ગીર સોમનાથ ટીબી સામેના જંગમાં અગ્રેસર
ગીર સોમનાથ જિલ્લામાં શરૂ થયેલું ‘ભાગીરથ અભિયાન’ આજે ‘ટીબી મુક્ત ભારત’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું છે. સેવા, ટેકનોલોજી અને દ્રઢ ઈચ્છાશક્તિના સહારે ગીર સોમનાથ આજે ટીબી સામેના જંગમાં અગ્રેસર છે.
ગીર સોમનાથમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શરૂ થયેલું ‘ભાગીરથ અભિયાન’ આજે ‘ટીબી મુક્ત ભારત’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું છે. અહીં સારવાર માત્ર હોસ્પિટલ સુધી સીમિત નથી, પરંતુ ગીરના ગહન જંગલો અને અંતરિયાળ ગામડાંઓના ઉંબરા સુધી પહોંચી છે. સરકારી મશીનરી અને સેવાભાવી ‘નિક્ષય મિત્રો’ના સમન્વયથી છેવાડાના માનવીને મફત નિદાન અને પૂરતું પોષણ મળી રહ્યું છે. સેવા, ટેકનોલોજી અને દ્રઢ ઈચ્છાશક્તિના સહારે ગીર સોમનાથ આજે ટીબી સામેના જંગમાં અગ્રેસર છે.
"હેલ્ધી ઈન્ડિયા"ના સંકલ્પને સાકાર કરવા ગીર સોમનાથમાં આરોગ્ય કર્મીઓની ફોજ મેદાને ઉતરી છે. આશા વર્કર્સ અને પેરા-મેડિકલ સ્ટાફ હવે હોસ્પિટલના બદલે સીધા લોકોના દ્વારે પહોંચી તપાસ કરી રહ્યા છે. ઘર-ઘર સુધીની આ સક્રિય પહોંચને કારણે સામાન્ય નાગરિકોને નિદાન માટે હવે ક્યાંય ભટકવું પડતું નથી. જિલ્લામાં કાર્યરત ‘એક્ટિવ કેસ ફાઇન્ડિંગ’ ડ્રાઈવમાં સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ પણ ‘નિક્ષય મિત્ર’ બનીને જોડાયા છે. વહીવટી તંત્રની નિઃશુલ્ક સારવારની સાથે આ સેવાભાવીઓ દર્દીઓને વિશેષ પોષણ કીટ પૂરી પાડી રહ્યા છે.
જોકે, આ અનોખી લોકભાગીદારી જ ટીબી સામેના આ જંગનું સૌથી મોટું બળ બની છે. જિલ્લા કલેક્ટર અને DMFના સહયોગથી હવે તાલુકા સ્તરે જ અદ્યતન મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ₹1,500 જેવી ખર્ચાળ તપાસ તદ્દન મફત થતા ગરીબ પરિવારોને મોટી રાહત મળી છે. ‘ટીબી હારશે, ભારત જીતશે’ના મંત્ર સાથે ગીર સોમનાથ આજે રાજ્યમાં મજબૂત ઈચ્છાશક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.