ગાંધીનગર : વિધાનસભામાંથી કોંગ્રેસનું "વોકઆઉટ", જુઓ અનંત પટેલ અને અમિત ચાવડાએ શું આક્ષેપ કર્યા..!
15મી ગુજરાત વિધાનસભામાં શિયાળા સત્રના પહેલા જ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આભાર પ્રસ્તાવ પર ચર્ચા મુદ્દે કોંગ્રેસે વોકઆઉટ કરી વિરોધ નોંધાવ્યો હતો.
15મી ગુજરાત વિધાનસભામાં શિયાળા સત્રના પહેલા જ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આભાર પ્રસ્તાવ પર ચર્ચા મુદ્દે કોંગ્રેસે વોકઆઉટ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જ સરકાર અને અધ્યક્ષ વિરુદ્ધ સુત્રોચ્ચાર સાથે નવ નિયુક્ત અધ્યક્ષે સમય ન આપ્યો હોવાનો પણ વિપક્ષ આરોપ લગાવ્યો છે.
નવનિયુક્ત ગુજરાત વિધાનસભામાં શિયાળા સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસે વોક આઉટ કર્યું જતું, ત્યારે આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અમે પણ અધ્યક્ષની વરણીને સમર્થન આપ્યું છે. તેમ છતાં રાજ્યપાલના સંબોધનની નકલ અમને મળી નથી. કામકાજ સલાહકાર સમિતિની રચના પણ કરવામાં આવી નથી. તમામ વિધાનસભાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ઓછામાં ઓછા 3 દિવસ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થવી જોઈએ. અમે અધ્યક્ષના પણ નિયમોનું ઉલ્લંઘન અંગે ધ્યાન દોર્યું છે. નેતા નક્કી કરવાનો કોઈ સવાલ જ નથી. નામ નક્કી કરી અમારે અધ્યક્ષને મોકલવાનું હોય છે.
તો બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ ભાજપ સરકાર પર આરોપ લગાવતા જણાવ્યુ હતું કે, સંસદીય પ્રણાલી મુજબ 3 દિવસ સુધી ચર્ચા કરવી જોઈએ. પણ માત્ર એક દિવસમાં ચર્ચા પૂર્ણ કરવામાં આવી તેના વિરોધમાં કોંગ્રેસે વોકઆઉટ કર્યું છે. ભાજપે પ્રથમ દિવસે લોકશાહીની હત્યા કરી છે. તો અનંત પટેલે આદિવાસી વિસ્તારમાં ભાજપના સારા પ્રદર્શન અંગે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ નુકશાન કર્યું છે. મારા મત વિસ્તારમાં સ્કૂલોની હાલત જર્જરિત છે, પૂરતા શિક્ષકો નથી. અનેક ગ્રામ્ય વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક પણ નથી. આ તમામ પ્રશ્નોને લઈ અમે વિધાનસભામાં અવાજ ઉઠાવીશું.