/connect-gujarat/media/post_banners/f858446f0200447957d145b1c310539f722c7ffc8ab745579afc6f0941f0d487.jpg)
રાજયમાં નવા મંત્રીમંડળની રચના બાદ વિધાનસભાના મળેલા પ્રથમ સત્રમાં વિપક્ષના ધારાસભ્યોમાં એકતા જોવા મળી હતી. કોરોનાના મૃતકોને વળતર સહિતના મુદ્દે વિપક્ષના આક્રમક તેવરની સામે શાસકપક્ષ નબળો જણાયો હતો.
ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રનો પ્રારંભ થયો છે. વિધાનસભાના નવા સત્રની વિશેષતા એ હતી કે, વિજય રૂપાણીના બદલે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બની ચુકયાં છે. જુના મંત્રીઓના બદલે નવા મંત્રીઓ હતાં. વિધાનસભાના સત્રમાં સરકારને ઘેરવા માટે કોંગ્રેસના ધારાસભ્યો પુરતું હોમવર્ક કરીને આવ્યાં હતાં. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. વિધાનસભા સત્રના શરૂઆત પૂર્વેજ કોંગ્રેસના બે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ પરિસરમાં કોવિડના મૃતક પરિવારને 4 લાખની સહાયની માંગણી સાથેના બેનરો અને ડોક્ટરના એપ્રન પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે મંદી, મોઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, કોરોના પીડિત લોકોની પિડા અને વેદનાને વાચા આપવા આક્રમક તેવર અપનાવ્યાં હતાં.
બીજી તરફ પ્રશ્નોતરી દરમિયાન કચ્છના મુંદ્રા પોર્ટ પર આવેલાં જહાજમાંથી પકડાયેલાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો મુદ્દો ઉછળ્યો હતો. એમડી ડ્રગ્સ મુદ્દે વિપક્ષના આક્રમણ સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઝઝૂમ્યાં હતા. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંદરોઅંદર ગુફતેગુ કરવામાં વ્યસ્ત હતા. કોરોના મદ્દે વિધાનસભામાં કોંગ્રેસએ હોબાળો કર્યો હતો. ન્યાય આપો ન્યાય આપો કોરોનાના મૃતકોને ન્યાય આપો ના સૂત્રોચાર કરી કોંગ્રેસે આજે પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.