ગ્રામ્ય વિસ્તારમાં ઇકો ઝોનના કાયદાનો ઉગ્ર વિરોધ
ઇકો ઝોનને સદંતર નાબૂદ કરવામાં આવે તેવી માંગ
દશેરાના દિવસે ઇકોઝોન નામના રાક્ષસનું દહન કરાયું
આ મામલે AAP નેતા પ્રવીણ રામએ પ્રતિક્રિયા આપી
ઇકોઝોન ગીરના લોકો માટે રાક્ષસ સમાન : પ્રવીણ રામ
ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સરકારના ઇકો ઝોન કાયદાને કાળો કાયદો માનવમાં આવી રહ્યો છે. ઇકો ઝોન સદંતર નાબૂદ કરવાની માંગ સાથે દશેરાના દિવસે ઇકોઝોન નામના રાક્ષસનું દહન કરી સાંકેતિક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ઇકો ઝોનને લઈને ગીર સોમનાથ જિલ્લામાં ઠેર ઠેર બહોળો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ઇકોઝોનના આંદોલનની આગ દશેરાના દિવસે ગીર પંથકના ગામડે ગામડે પહોંચી છે. ઇકો ઝોનના કાયદાને નાબૂદ કરવાની માંગ ઇકોઝોન નામના રાક્ષસનું દહન કરી ગ્રામજનોએ સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો. દશેરાના દિવસે જૂની પરંપરા પ્રમાણે રાક્ષસના દહનનો કાર્યક્રમ થતો હોય છે, ત્યારે ગીર વિસ્તારના લોકોએ ઇકોઝોનને જ રાક્ષસ ગણાવી તેનું દહન કર્યું હતું.
આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઇકોઝોન ગીરના લોકો માટે રાક્ષસ સમાન જ છે, અને આ રાક્ષસ આવનારા સમયમાં ગીરના લોકોને ભરખી જાય એવી ભીતિ હોવાના કારણે દશેરાના દિવસે આ રાક્ષસનું દહન કરવામાં આવ્યું છે. આ સાથે જ સરકારને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે, તેમજ માતાજીને પ્રાર્થના કરી છે કે, આવા ઇકોઝોનરૂપી રાક્ષસથી ગીરના લોકોને બચાવે. ઇકો ઝોન કાયદાને કાળો કાયદો ગણાવી ઇકો ઝોન સદંતર નાબૂદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.