-
ગીર ગઢડામાં 51 ગામની દીકરીઓ માટે નવી શરૂઆત
-
દ્રોણેશ્વર ગુરુકુળમાં અત્યાધુનિક છાત્રાલયનું ખાતમુહૂર્ત
-
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
-
છાત્રાવાસ સાથે ઉત્તમ શિક્ષણ ઉપલબ્ધ થશે : મુખ્યમંત્રી
-
ઉદ્યોગપતિઓ, આગેવાનો, સંસ્થાના હરિભક્તોની ઉપસ્થિતિ
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો તેમજ સંસ્થાના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ દ્રોણેશ્વરમાં સંસ્કૃતિ, સંસ્કાર, સદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસ.જી.વી.પી., ગુરુકુળ ખાતે સંત માધવપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 20 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, દરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે. જીવન વ્યવહારના તમામ પ્રશ્નોનો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છે, ત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગીર ગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત સમાન છે.
આ ગુરુકુળ દ્વારા આ છેવાડાના વિસ્તારમાં 51 ગામના 10 હજાર દીકરાઓને શિક્ષણ આપવામાં આવે છે, તે સાથે હવે ગુરુકુળ પરંપરાને આગળ ધપાવતા દીકરીઓને પણ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છાત્રાવાસ સાથે અહીં ઉપલબ્ધ થવાનું છે, તે આપણા સૌ માટે ગૌરવની વાત છે તેમ મુખ્યમંત્રીએ હર્ષભેર જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાળા સહિત ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં સંસ્થાના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.