/connect-gujarat/media/post_banners/a26579a43a9e713651af47bc9120a0a0e58f5320d2daed265b32f62d0af864e0.webp)
જમ્મુ કશ્મીર ખાતે કુલગામમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં મૂળ સુરેન્દ્રનગરના મોજીદડ ગામના રહેવાસી અને હાલ અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહેતા મહિપાલસિંહ વાળા નામના જવાન શહીદ થયા છે. આજે રવિવારે સવારે તેમનો મૃતદેહ અમદાવાદ ખાતે લાવવામાં આવશે. બપોરે 12 વાગ્યા બાદ તેમની અંતિમયાત્રા તેમના નિવાસ્થાનેથી નીકળી અને ઠક્કરબાપાનગરના લીલાનગર સ્મશાન ગૃહ ખાતે જશે. શહીદ જવાનની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો અને નેતાઓ જોડાશે. શહીદ જવાન મહિપાલસિંહ વાળાના પરિવારજન યુવરાજસિંહ વાળા સાથે દિવ્યભાસ્કરે વાતચીત કરી હતી. મહિપાલસિંહ આશરે પાંચેક વર્ષ પહેલા ઇન્ડિયન આર્મીમાં જોડાયા હતા. એક મહિના પહેલા તેઓ અમદાવાદ ખાતે આવ્યા હતા. મહિપાલસિંહના લગ્ન આશરે ત્રણેક વર્ષ પહેલાં થયા છે. તેમની પત્ની હાલમાં ગર્ભવતી છે અને તેમના 9 મહિના પૂર્ણ થઈ ગયા છે. આજે સવારે જ તેઓને ડિલિવરીનો દુખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકતરફ મહિપાલસિંહના પત્ની હોસ્પિટલમાં છે અને બીજી તરફ આજે આ દુઃખદ સમાચાર આવતા પરિવારજનો ઉપર ખૂબ જ આફત આવી પડી છે. મહિપાલસિંહના પરિવારજનમાં તેમની પત્ની માતા મોટાભાઈ અને બે બહેનો છે.