-
ચોમાસુ સમય કરતા વહેલા દેશે દસ્તક
-
કૃષિ હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી
-
અરબી સમુદ્ર વિસ્તારમાં ચોમાસાની ગતિવિધિ તેજ
-
સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે વરસાદ
-
વરસાદના પગલે વાતાવરણમાં પ્રસરી છે ઠંડક
જૂનાગઢના કૃષિ હવામાન વિભાગ દ્વારા ચોમાસા અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે.જેમાં વરસાદની મોસમ સમય કરતા વહેલા દસ્તક દેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં હવામાનમાં એક નોંધપાત્ર બદલાવ જોવા મળી રહ્યો છે. કૃષિ હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આ વર્ષે ચોમાસુ તેના ઔપચારિક સમય કરતા લગભગ 15 દિવસ વહેલુ આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ જણાવ્યું કે હાલમાં નૈઋત્ય ચોમાસુ મુંબઈ તથા તેની આસપાસના વિસ્તારો સુધી પહોંચી ગયું છે. સામાન્ય રીતે જ્યાં ચોમાસું જૂનના બીજા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે છે, ત્યાં હવે મે મહિનાના અંત સુધીમાં જ વરસાદી ગતિવિધિઓ શરૂ થવાના સંકેત મળી રહ્યા છે.
વઘાસીયાએ વધુમાં જણાવ્યું હતું કે અરબી સમુદ્રના મધ્ય અને પૂર્વ વિસ્તારમાં ચોમાસાની પ્રવૃત્તિ માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી થઈ છે. આ પરિસ્થિતિના પગલે ચોમાસુ હવે ગુજરાત તરફ ઝડપથી આગળ વધશે તેવી પૂરી સંભાવના છે. અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દીવ, વલસાડ અને વાપી જેવા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે, જેનાથી હવામાનમાં ઠંડક તો અનુભવાઈ છે પરંતુ ભેજ વધતા બફારો પણ વધી ગયો છે.
હાલ સૌરાષ્ટ્રમાં દબાણવાળી પરિસ્થિતિ સર્જાઈ છે અને સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે. જેના કારણે આવનારા એક-બે દિવસોમાં ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. શહેરો ઉપરાંત આ જિલ્લામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડશે તેવી શક્યતા છે.