-
સહકારી મંડળીઓમાં થતી ગોલમાલ-ભ્રષ્ટાચારનો આક્ષેપ
-
400થી વધુ ખેડૂતોએ જિલ્લા સહકારી બેંકમાં રજૂઆત કરી
-
AAP પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયા રહ્યા વિશેષ ઉપસ્થિત
-
ખેડૂતોના નામે લાખો રૂપિયાનું ધિરાણ કરાયું : ઇટાલિયા
-
ખેડૂતો પાસે ઉઘરાણા બંધ કરી ધિરાણ આપવાની રજૂઆત
સહકારી મંડળીઓમાં થતી ગોલમાલ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાએ 400થી વધુ ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકમાં આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
જુનાગઢ જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા ભેસાણ તાલુકાના અલગ અલગ ખેડૂતોને નોટીસ આપવામાં આવી છે. ભેસાણ તાલુકાના છોડવડી અને વાંદરવડ જેવા ગામમાં મંડળીઓ દ્વારા ખેડૂતોની જાણ બહાર લાખો રૂપિયાનું ધિરાણ કરી દેવામાં આવ્યું છે. ગત વર્ષ દરમિયાન આ કૌભાંડ સામે આવ્યું હતું, અને જિલ્લા સેવા સહકારી બેંક દ્વારા મંડળીના પ્રમુખ તેમજ મંત્રી સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
જોકે, ખેડૂતોએ ધિરાણ લીધું નથી. તેમ છતાં ખેડૂતોને નોટિસ આપવામાં આવતા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયા ખેડૂતો સાથે જિલ્લા સેવા સહકારી બેંકના મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતોની ઉગ્ર રજૂઆતો બેંકના મેનેજર તેમજ જવાબદાર અધિકારીઓ સુધી પહોંચાડી હતી. આ સાથે જ ખેડૂતોને આપવામાં આવતી નોટિસ અને ઉઘરાણા બંધ કરી ધિરાણ આપવા માટેની રજૂઆત કરી હતી.