-
સાવરકુંડલામાં અનરાધાર વરસાદથી તારાજી
-
ભારે વરસાદને પગલે ખેતીમાં પહોંચ્યું નુકશાન
-
વરસાદી પાણીમાં ખેતીની જમીનનું થયું ધોવાણ
-
ખેતરમાં પાણીની જમાવટથી પડ્યા ઉંડા ખાડા
-
રોડના ધોવાણ સાથે પુર સંરક્ષણ દીવાલ ધરાશાયી
અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં વરસેલા અનરાધાર વરસાદને પગલે ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું છે,કારણે ખેતીની જમીનનું જ ધોવાણ થઇ ગયું છે,વધુમાં વરસાદી પાણી ખેતરમાં જમાવટ કરતા અંદાજીત 22 ફુટના ખાડા પણ જમીનમાં પડવાના કારણે ખેડૂતના માથે મુશ્કેલીનું આભ ફાટ્યું છે.
અમરેલી જિલ્લામાં 16 જૂને પડેલા અનરાધાર વરસાદથી સાવરકુંડલા પંથકમાં પારાવાર ખેતીની જમીન ધોવાઈ ગઈ હતી,અને ઘોબા,પીપરડી, હીપાવડલી, મેંકડા ગામોમાં ખેતીની જમીનો પર પાણી ફરી વળતા આશરે 7 થી 8 હજાર વીઘા ખેતીની જમીનોના ધોવાણ થયા હતા.ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નેતા પ્રતાપ દુધાત ખેડૂતોની વ્હારે પહોંચ્યા હતા.અને ખેડૂતોની જમીનોની સ્થિતિ જોઈને પ્રતાપ દુધાત વ્યથિત થઈ ઉઠ્યા હતા.
સાવરકુંડલાના શેત્રુજી નદી અને મેરામણ નદી અને ફૂલકું નદી કાંઠાના ઘોબા, પીપરડી, ફીફાદ, મેંકડા ગામોની જમીનો સાવ નષ્ટ થઈ ગઈ છે.ખેડૂતોએ મગફળી કપાસના વાવેતર કર્યા તે વાવેતર તો ઠીક પણ ખેતીની જમીન જ આખી ધોવાઈ ગઈ છે.અને ખેતરોમાં વરસાદી પાણીએ જમાવટ કરતા જમીનોમાં 22 ફૂટના ખાડાઓ પડ્યા છે. જેના કારણે ખેડૂતો માટે આ પરિસ્થિતિ આફત રૂપ બની ગઈ છે.
સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામના ખેડૂતે 50 વીઘા જમીનમાં કપાસનું વાવેતર કર્યું હતું. DAP ખાતર, બિયારણ નાખ્યા બાદ વરસાદ અને પૂર પ્રકોપથી જમીન જ નષ્ટ થઈ જતા વાવેતર થઈ શકે તેવી સ્થિતિ જ રહી નથી. જ્યારે માત્ર ફીફાદ ગામની 3 હજાર વીઘા જમીનનું ધોવાણ થયું છે.જ્યારે ધોબા પીપરડી અને મેંકડા સાથે 7 થી 8 હજાર વીઘામાં જમીન ધોવાઈ જતા ખેડૂતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.ત્યારે ગ્રામીણ માર્ગોના રસ્તાઓ તો ધોવાઈ જ ગયા છે,સાથે રોડ કાંઠે પૂર સંરક્ષણ દિવાલ પણ ધરાશાયી થઈ ગઈ છે. આ ઉપરાંત એક બ્રિજ પણ ધરાશાયી થઈ ગયો હોય ત્યારે આ નુકસાનની પરિસ્થિતિમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈને ખેડૂતોને આશ્વાસન આપીને ખેતીની જમીનોની સ્થિતિ અંગે સરકાર સામે હૈયાવરાળ ઠાલવી હતી.