હર હર મહાદેવના નાદથી ભવનાથ ગુંજી ઉઠ્યું
સાધુ સંતોની ભવ્ય રવેડીમાં ભક્તો ઉમટ્યા
દિગમ્બર સાધુઓએ વિવિધ કરતબ રજૂ કર્યા
પવિત્ર મૃગીકુંડમાં સાધુ સંતોએ લગાવી ડૂબકી
પાંચ દિવસીય શિવરાત્રીના મેળાનું સમાપન થયું
જૂનાગઢના ભવનાથના મૃગીકુંડમાં સાધુ-સંતોના સ્નાન અને મહાઆરતી બાદ પાંચ દિવસથી ચાલતા મહાશિવરાત્રી મેળાનું સમાપન થયું હતું.
જૂનાગઢના મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે રાત્રીના સમયે ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ-સંતોની પરંપરાગત રીતે રવેડી યોજાઈ હતી. વાજતે ગાજતે રવેડી ભવનાથ મંદિરે પહોંચી હતી. જ્યાં સાધુ-સંતોએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું અને હરહર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો. સાધુ-સંતોના સ્નાન અને મહાઆરતી બાદ પાંચ દિવસથી ચાલતો મહાશિવરાત્રી મેળો પૂર્ણ થયો હતો.
જૂનાગઢનાં ભવનાથમાં ચાલી રહેલા મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે સવારથી ભાવિકોનો અવિરત પ્રવાહ તળેટી તરફ વહેતો રહ્યો હતો. લોકોએ ભવનાથ તળેટીમાં પહોંચી મહાદેવના મંદિરે દર્શન કરી અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ તેમજ મહાશિવરાત્રિ નિમિતે જેણે ઉપવાસ કર્યો હતો. તેઓએ ફરાળ ગ્રહણ કર્યું હતું.
રાત્રીના શ્રી પંચ દશનામ જુના અખાડા ખાતેથી રવેડીનો પ્રારંભ થયો હતો.આ રવેડીમાં દિગમ્બર સાધુઓએ લાઠીદાવ, અંગકસરત તેમજ તલવારબાજી જેવા કરતબ રજૂ કર્યા હતા. જેને નિહાળી સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. આ રવેડી મોડી રાત્રે ભવનાથ મંદિરે પહોંચી હતી. ત્યાં પ્રથમ અખાડાના આરાધ્યદેવોને મૃગીકુંડમાં સ્નાન કરાવવામાં આવ્યું હતું. બાદમાં સાધુ સંતોએ મૃગીમુંડમાં સ્નાન કર્યું હતું. ભવનાથ મહાદેવની મહાઆરતી યોજાઈ હતી. હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી તળેટી ગુંજી ઉઠી હતી. આ સાથે પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો સંપન્ન થયો હતો.