-
કમોસમી વરસાદની અણધારી આફતે સામે ખેડૂતો લાચાર
-
ભારે પવન સાથે માવઠું આવતા ખેડૂતોના સપના રોળાયા
-
વાડી સહિત ખેતરમાં વિવિધ પાકોને પહોચ્યું મોટું નુકશાન
-
અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મુકી દીધા
-
સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય કરાય તેવી માંગ ઉઠી
એક તરફ ઝળહળતો તડકો અને બીજી તરફ કમોસમી વરસાદની અણધારી આફતે જુનાગઢ જિલ્લાના ખેડૂતોના સપનાને ચૂરેચૂર કરી નાખ્યા છે. જે ખેડૂતોના આંસુઓની વેદના અને તેમના મોઢે આવેલા કોળિયાને છીનવી લેનારી કુદરતની નિર્દયતાની કહાની કહે છે.
જ્યારે કેરીનો પાક આંબે આવ્યો, ત્યારે ખેડૂતોની નજર તેમના બગીચાઓમાં લટકતી લીલીછમ કેરીઓ પર હતી. આ કેરીઓ ફક્ત ફળ નહોતી, પણ ખેડૂતોની મહેનત, આશા અને આગામી દિવસોની ખુશીનું પ્રતીક હતી. ઇજારેદારોએ લાખો રૂપિયાનું રોકાણ કરીને બગીચાઓ લીધા હતા. એ વિચાર સાથે કે, આ વર્ષે બજારમાં કેરીઓની ઊંચી કિંમત તેમના ઘરમાં સુખની વર્ષા લાવશે. પરંતુ કુદરતનો ક્રૂર ખેલ તો જુઓ..! અચાનક આવેલા કમોસમી વરસાદે, ગાજવીજ અને કરા સાથે, આ કેરીઓને ઝાડ પરથી ખેરવી દીધી છે.. ગુજરાતના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને રાજકોટ, અમદાવાદ, વડોદરા, અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાવાઝોડા જેવા માહોલ સાથે આવેલા અણધાર્યા વરસાદે ખેડૂતોને બેવડી મુસીબતમાં મુકી દીધા છે.
તો બીજી તરફ, લાખો રૂપિયાનું દેવું લઈને બગીચાઓ ભાડે લેનારા આ ઇજારેદારો હવે દેવાના બોજ નીચે દબાઈ રહ્યા છે. તેઓએ વિચાર્યું હતું કે, આ વર્ષે કેરીનો સારો ભાવ મળશે, ઘરમાં દીકરીના લગ્નની તૈયારી કરીશું, પણ હવે બે હાથ ખાલી છે, ”એક ઇજારેદાર નિરાશાભર્યા સ્વરે કહ્યું હતું કે, અનેક ઇજારેદારો હવે બેંકોના દેવા અને ઘરની જવાબદારીઓના બોજ નીચે દબાઈ ગયા છે. કુદરતની નિર્દયતા અને સરકારી મદદની રાહમાં કમોસમી વરસાદે ખેડૂતોના હાથમાંથી માત્ર પાક જ નથી છીનવ્યો, પરંતુ તેમની હિંમત અને આશા પણ લૂંટી લીધી છે. રાજ્યમાં ભારે પવન, વીજળીના કડાકા, અને કરા સાથેના વરસાદે ખેતરોમાં તારાજી સર્જી છે.
આ વરસાદે રાજ્યમાં અનેક લોકોના જીવ લીધા અને ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતો હવે સરકાર તરફ ટકી રહ્યા છે. આશા સાથે કે, તેમને આ આફતમાંથી બહાર નીકળવા માટે આર્થિક મદદ મળશે. પરંતુ, સરકારી મદદની રાહ જોવી એ પણ ખેડૂતો માટે એક લાંબી અને દુઃખદાયી પ્રક્રિયા બની રહી છે. ખેડૂતોની આક્રંદભરી અપીલ“અમે ખેતરોમાં રાત-દિવસ ઝઝૂમ્યા, પરસેવો પાડ્યો, પણ આજે ખેડૂતોના હાથમાં ફક્ત નિરાશા છે.
સરકાર મદદ નહીં કરે તો દેવાના બોજ નીચે દબાઈ જશે તેમ જણાવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોની આ વેદના હવે ગીર પંથકના ગામડાઓમાં હૈયાફાટ રુદન સમી બની ગઈ છે. દરેક ખેતરમાં, દરેક ઝાડ નીચે, દરેક ખેડૂતની આંખોમાં ફક્ત એક જ વાત છે કે, કુદરતે તેમની સાથે ન્યાય ન કર્યો, અને કુદરતની કારમી થપાટે આજે જમીન નીચે કેરીઓ નહીં. પરંતુ ખેડૂતો અને ઇજારેદારના સપનાઓ રોળાય ગયા છે.