ખેડા : રક્તરંજિત અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોની મધરાતે જ અંતિમવિધિ કરાય, હૈયાફાટ આક્રંદ સાથે ગામ હીબકે ચઢ્યું...

અમદાવાદના બગોદરા-બાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર ઝાલા પરિવારના લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની છે.

New Update
ખેડા : રક્તરંજિત અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોની મધરાતે જ અંતિમવિધિ કરાય, હૈયાફાટ આક્રંદ સાથે ગામ હીબકે ચઢ્યું...

અમદાવાદ જિલ્લાના બગોદરા-બાવળા હાઈવે પર થયેલા રક્તરંજિત અકસ્માતમાં જીવ ગુમાવનાર ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના ઝાલા પરિવારના મૃતક તમામ સભ્યોના મૃતદેહોને ગામમાં લવાતા હૈયાફાટ આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા.

અમદાવાદના બગોદરા-બાવળા હાઈવે પર થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનાર ઝાલા પરિવારના લોકો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સુણદા ગામના વતની છે. તમામે તમામ મૃતકોના મૃતદેહોને પોલીસની જરૂરી કાર્યવાહી બાદ પરિવારજનોને સોંપાતા પરિવારજનો અને ગ્રામજનો મૃતદેહોને વાહનો મારફતે ગામમાં લાવતાં જ ભારે ગમગીની છવાઇ ગઇ હતી. મોડીરાત્રે એકસાથે વાહનોનો ખડકલો ગામમાં આવતાં લોકોમાં હૈયાફાટ આક્રંદના દ્રશ્યો સર્જાયા હતા. મૃતક પરિવારના ઘર બહાર એક બાદ એક મૃતદેહને વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. 6 વ્યક્તિઓ સુણદા ગામના, 3 વ્યક્તિઓ મહીસાગર જિલ્લાના, તો અન્ય એક વ્યક્તિ કઠલાલ તાલુકાના મળી કુલ 12 લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે. જે તમામે તમામ કૌટુંબિક સગા થાય છે. અંદાજિત 3200ની વસતિ ધરાવતા આ ગામમાં મોટા ભાગના લોકોના ઘરે સાંજે ચૂલો સળગ્યો નહોતો. તો કેટલાકને ગળેથી કોળિયો પણ ઊતર્યો નહોતો. સૌકોઈ ગ્રામજનો દુઃખમાં ઝાલા પરિવારના પડખે આવી ઊભા રહ્યા હતા. મોડીરાત્રે મૃતકોની અંતિમસંસ્કાર વિધિ કરવાનો પરિવારજનોએ નિર્ણય કર્યો હતો. ગામના એક જ પરિવારના 6 લોકોની અર્થીને પરિવારના સભ્યો અને ગ્રામજનોએ કાંધ આપી સ્માશાન સુધી લાવવામાં આવી હતી, જ્યાં એક સાથે 6 ચિતાને અગ્નિસંસ્કાર કરાતા સુણદા ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ હતી.