New Update
નવરાત્રીની આઠમના રોજ માતાના મઢ ખાતે આયોજન
રાજવી પરિવાર દ્વારા પત્રિ વિધિનું આયોજન કરાયું
450 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત
કચ્છની સુખાકારી માટે પત્રિ વનસ્પતિ દ્વારા કરાતું પૂજન
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી
કચ્છમાં નવરાત્રીની આઠમના રોજ માતાના મઢ ખાતે પત્રિ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
નવરાત્રીની આઠમના રોજ કચ્છના માતાના મઢ ખાતે યોજાતી પત્રિ વિધિ અનેરું મહત્વ ધરાવે છે. કચ્છના રાજવી પરિવાર દ્વારા પત્રિ વિધિમાં પારંપરિક પૂજાવિધિ એક નવી દિશા તરફ વળી છે. લગભગ 450 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ કચ્છના રાજ પરિવારના મોભીમાં આશાપુરા પાસે કચ્છની સુખાકારી માટે માતાજીના ખભે પત્રિ વનસ્પતિ રાખી પોતાનો ખોળો પાથરવામાં આવે છે. પત્રિ ખોળામાં પડતા માતાજી તરફથી આશીર્વાદ અપાય હોવાનું માની આ વિધિ કચ્છના લોકોની આસ્થા સાથે બંધાયેલી છે. જોકે, રાજ પરિવારમાંથી આ વિધિ કોણ કરે તે મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ બાદ અને ભુજ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદા બાદ મહારાણીએ પ્રથમ વખત પત્રિ ઝીલતા કોઈ મહિલાના હસ્તે આ વિધિ થઈ હોય તેવી પ્રથમ ઘટના બની હતી, ત્યારે આ વર્ષે પણ મહારાણીના માર્ગદર્શન હેઠળ પત્રિ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.