સમગ્ર કચ્છ જિલ્લામાં ચોમાસાના પ્રારંભે મેઘો મન મૂકીને વરસી રહ્યો છે, ત્યારે અબડાસા, માધાપર, માંડવી અને ગાંધીધામ સહિતના ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે.
કચ્છ જીલ્લામાં અવિરત વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, આદિપુર, અંજાર, ભચાઉ, રાપર, અબડાસા, માધાપર, માંડવી, નખત્રાણા અને ગાંધીધામમાં મેઘરાજા મહેરબાન થયા છે. માધાપરમાં પણ વહેલી સવારથી જ વરસાદનું આગમન થતાં શેરી અને ગલીઓમાં પાણી વહેવા લાગ્યા હતા. સારા વરસાદને લઈને ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ માંડવી તાલુકાના ગોધરા ગામનું ઐતિહાસિક કેસરિયા તળાવ ઓવરફ્લો થતાં ગામ સરપંચ સહિતના આગેવાનોએ મેઘોત્સવ યાત્રા યોજી નવા નીરના વધામણાં કર્યા હતા.
કચ્છમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે પાણી ભરાવાથી અનેક ગામો વિખૂટા પડી રહ્યા છે, ત્યારે અબડાસા તાલુકાનું બારા ગામ પણ સંપર્ક વિહોણું બની ગયું છે. 300 પરિવારની વસ્તી ધરાવતા બારા ગામમાં પાણીના વહેણના કારણે પુલિયાની દીવાલ તૂટી ગઈ છે, ત્યારે બન્ને તરફ પાણીનો ધસમસતો પ્રવાહ ચાલુ હોવાથી હાલ આસપાસના ગામો વિખૂટા પડ્યા છે. તંત્ર દ્વારા 15 દિવસ પહેલા અહીં સમારકામ હાથ ધરાયું હતું. તેમ છતાં હાલ ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ માંડવી તાલુકાના મસ્કામાં નદીમાં તણાઈ જતા એક મહિલાનું મોત નીપજ્યું હોવાનું પણ સામે આવ્યું હતું.