હવામાન વિભાગ દ્વારા રાજ્યના ચાર જિલ્લામાં માવઠાની આગાહી કરાઇ

હવામાન વિભાગ દ્વારા 28 ડિસેમ્બરના રોજ રાજ્યના ચાર જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા

New Update
Meteorological department forecast, rain

હવામાન વિભાગ દ્વારા 28 ડિસેમ્બરના રોજ રાજ્યના ચાર જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. બીજી તરફ, બનાસકાંઠા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

બનાસકાંઠાના દાંતીવાડા, પાંથાવાડા, દાંતા, ઈકબાલગઢ અને ડીસા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો હતો. આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના એરંડા, બટાકા, જીરું, ઈસબગુલ અને ઘઉં જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મોંઘા બિયારણ અને મહેનત પર પાણી ફરી વળ્યું છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પશ્ચિમી વિક્ષોપ ઉત્તરના પર્વતીય પ્રદેશો પરથી પસાર થઈ રહ્યા છે. હાલમાં દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે. આ ઉપરાંત, રાજસ્થાનના ઉત્તર મધ્ય ભાગમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને બંગાળની ખાડી તરફથી ભેજ મળી રહ્યો છે, જેના કારણે તે વધુ મજબૂત બન્યું છે. આ પરિસ્થિતિની અસર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહી છે, જેના લીધે રાજ્યમાં માવઠું પડી રહ્યું છે.

જો કે, ગોસ્વામીએ એમ પણ જણાવ્યું હતું કે 29 ડિસેમ્બરથી વાતાવરણમાં બદલાવ આવશે અને 31 ડિસેમ્બરના રોજ શિયાળાની સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે. આમ, એક તરફ માવઠાની ચિંતા છે તો બીજી તરફ ઠંડીનું મોજું પણ આવી રહ્યું છે. ખેડૂતો અને સામાન્ય લોકોને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે.