રાજ્યમાંથી ગંભીર અકસ્માતની 2 ઘટનાઓ સામે આવી
જન્મદિવસ હોવાથી માતા-પુત્ર જતાં હતા પાવાગઢ દર્શને
એસટી. બસની ટક્કરે રસ્તામાં જ માતા-પુત્રનું કરૂણ મોત
સુરતના ઉમરા-વેલંજામાં પણ ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત
ટ્રકની અડફેટે એક વ્યક્તિનું મોત, 2 લોકો ઘાયલ થયા
રાજ્યમાંથી આજરોજ ગંભીર અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે જતાં માતા-પુત્રનું દાહોદના લીમખેડા નજીક એસટી. બસની ટક્કરે મોત નીપજ્યું હતું. તો બીજી તરફ, સુરતના ઉમરા-વેલંજા વિસ્તારમાં ટ્રકની અડફેટે એક વ્યક્તિનું મોત, જ્યારે 2 લોકો ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર, દાહોદના રાબડાલ ગામે રહેતા પુત્ર આદિત્યનો જન્મદિવસ હોવાથી તેઓ તેમની માતા શકુંતલાબેન સાથે બાઈક ઉપર યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન માટે જઈ રહ્યા હતા. આ દરમ્યાન લીમખેડાની નૂતન હાઈસ્કૂલ નજીક માર્ગ પર માતા અને પુત્રને અકસ્માત નડ્યો હતો. જેમાં દાહોદથી વલસાડ જતી એસટી. બસના ચાલકે બાઇક સવાર માટ-પુત્રને ટક્કર મારી હતી, ત્યારે બસ નીચે કચડાઈ જતાં માતા અને પુત્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા, જ્યારે પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તો બીજી તરફ, સુરત શહેરના ઉમરા-વેલંજા વિસ્તારમાંથી પણ ખરાબ રસ્તાના કારણે અકસ્માતની ઘટના સામે આવી છે. અત્યંત બિસ્માર રોડના કારણે બાઈક સવારે સંતુલન ગુમાવતા ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતની ઘટનામાં ટ્રક નીચે આવી જતાં ગંભીર ઇજાના પગલે એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્તો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવને લઈ ટોળે વળેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં લોકોએ માર્ગ પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવતા ઉત્રાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, એક જ મહિનામાં રસ્તો ધોવાઈ જતાં રસ્તો બનાવવાના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે, ત્યારે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.