આજે રાજ્યમાં ધામધુમથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નવસારી ખાતે આવેલા ૪૦૦ વર્ષ જૂના વિરવાડી હનુમાન મંદિરમાં હનુમાન જયંતી દિવસે ભાવિક ભક્તો પહોંચ્યા
કોરોના મહામારીમાં અનેક તહેવારો પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા પરંતુ હવે કોરોના હળવો થતાં રાજ્યમાં તમામ છૂટછાટો આપવામાં આવી છે ત્યારે નવસારીમાં આવેલ ૪૦૦ વર્ષ જૂના વિરવાડી હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભાવિક ભક્તો દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. વિરવાડી હનુમાન મંદિરમાં ૪૦ વર્ષ બાદ પહેલી વાર દાદાને સોનાના વરખથી શણગાર કરવામાં આવ્યો હતો. જેને જોવા દૂર દૂરથી લોકો આવ્યા હતા. વિરવાડી હનુમાન મંદિર દક્ષિણ ગુજરાતના ભક્તો માટે એક અનેરો મહિમા ધરાવે છે. દક્ષિણ ગુજરાતનું સારંગપુર કહેવાતું વિરવાડી હનુમાન મંદિર ભાવિક ભક્તો માટે બે વર્ષ બાદ ખુલ્લુ મુકાતા અંદાજીત ૩૫ થી ૪૦ હજાર લોકો આવવાની સંભાવના છે.