Connect Gujarat
ગુજરાત

નવસારી : વાંઝણા પ્રાથમિક શાળામાં બાળકોના મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળી, શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું...

સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલી બનાવી છે.

X

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાંઝણા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવેલા ભોજનમાં ઈયળ નીકળતા ચકચાર મચી હતી, ત્યારે ઈયળ નિકળવાની ઘટના મુદ્દે શિક્ષણ વિભાગે તપાસ આરંભી છે.

સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અમલી બનાવી છે. પરંતુ નવસારી જિલ્લામાં NGO દ્વારા પહોંચાડવામાં આવતા મધ્યાહન ભોજનમાં જીવાત નિકળવાની ઘટના પણ બનતી રહે છે. વર્ષોથી મુંબઈની NGO નાયક ફાઉન્ડેશન દ્વારા જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડવામાં આવે છે. પરંતુ લાંબા સમયથી NGO દ્વારા વહેલી સવારથી ભોજન બનાવી તેને વાસણોમાં ભરી સીલ મારીને જિલ્લાના દરેક તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ટેમ્પો મારફતે પહોંચાડવામાં આવે છે. 2 દિવસ અગાઉ ગત મંગળવારે સવારે NGOએ મમરા, રોટલી, ભાત અને રસાવાળું મગનું શાક ચીખલી તાલુકાના વાંઝણા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં પહોંચાડ્યુ હતું, જ્યાં બપોરે રીસેસમાં બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 7ના વિદ્યાર્થીની થાળીમાં ભાત અને મગનું શાક આપતા જ તેમાં ઈયળ આવતા તેણે તાત્કાલિક શિક્ષકને જાણ કરી હતી. જેથી શિક્ષકે તાત્કાલિક બાળકોને ભોજન પીરસાવાનું બંધ કરાવી દીધું હતું. જે બાદ શાળાના 165 વિદ્યાર્થીઓએ મમરા અને રોટલી ખાવી પડી હતી. જોકે, સમગ્ર મુદ્દો પ્રકાશમાં આવતા જ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. સમગ્ર મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળા પાસેથી રીપોર્ટ માંગ્યો છે. ઉલ્લેખનિય છે કે, NGO વાસણોમાં ભોજન ભરી તેને સીલ કરીને શાળા સુધી પહોંચાડે છે. શાળામાં પણ સ્વચ્છતા ઉપર ધ્યાન રાખવામાં આવે છે. તો ક્યાંક બહારથી નહીં, પણ NGO દ્વારા બનેલા ભોજનમાં જ ઈયળ હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાને આવ્યું છે.

નવસારી જિલ્લામાં NGO નાયક ફાઉન્ડેશન દ્વારા બનાવાતા મધ્યાહન ભોજનમાં અનેકવાર જીવાત નીકળવાની ઘટના બની છે. થોડા મહિનાઓ પહેલા દાળમાંથી ગરોળી પણ નીકળી હતી. પરંતુ આજદિન સુધી પુરવઠા વિભાગ કે, શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી, ત્યારે ગત મંગળવારે વાંઝણા પ્રાથમિક શાળામાં બાળકોને પીરસાયેલા મધ્યાહન ભોજનમાં ઈયળ નીકળી હોવાની ઘટના જાણ્યા બાદ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરુણ અગ્રવાલ પણ એક્ટીવ થયા હતા, અને તેમણે તાત્કાલિક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી તપાસ રીપોર્ટ આપવા આદેશ કર્યા છે. સાથે જ ઘટનામાં જે પણ કસૂરવાર નીકળશે તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારી પણ દર્શાવી છે. નવસારી જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડતી NGO ના ભોજનની ગુણવત્તા ઉપર થોડા થોડા મહિનાઓમાં સવાલો ઉભા થતા રહે છે. તેમ છતાં તંત્ર દ્વારા બાળકોને ગુણવત્તાયુક્ત ભોજન મળે એવા પ્રયાસો કરવામાં ક્યાંકને ક્યાંક કચાસ રહી જતી હોવાની ચર્ચાઓ પણ વહેતી થઇ છે.

Next Story