-
મટવાડ અને સામાપોરમાં ફૂડ પોઈઝનિંગનો મામલો
-
હનુમાનજી મંદિરમાં ભંડારામાં જમ્યા બાદ સર્જાઈ ઘટના
-
ઝાડા ઉલટીની ફરિયાદ ઉઠતા આરોગ્ય તંત્ર થયું દોડતું
-
ભંડારામાં 80થી વધુ બાળકો થયા અસરગ્રસ્ત
-
100થી વધુ દર્દીઓને સારવાર બાદ અપાય રજા
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલા ગામો મટવાડ અને સામાપોરમાં 100થી વધુ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ થઇ હતી. હનુમાનજી મંદિરમાં મહાપ્રસાદી જમ્યા બાદ ફૂડ પોઇઝનિંગ થયું હતું.જેમાં સૌથી વધુ બાળકોને અસર થતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ અને સામાપોર ગામમાં હનુમાન જયંતિના અવસર નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે મહાપ્રસાદી જમ્યા બાદ અચાનક કેટલાક લોકોમાં ઝાડા ઉલટી ની ફરિયાદ જોવા મળી હતી.જેના કારણે આરોગ્ય તંત્રના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા,અને જાણવા મળ્યા મુજબ અસરગ્રસ્તોમાં 80 જેટલા બાળકો સહિત 100 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી, જેમને તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી હતી.તમામ અસરગ્રસ્તોને મોડી રાત્રે સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.
મટવાડ અને સામાપોર ગામ ખાતે મહાપ્રસાદ બનાવનાર કેટર્સ કોન્ટ્રાક્ટર એક જ હોવાનું જાણવા મળ્યું છે.ભોજનમાં પીરસાયેલા છાશ અને કેરીના રસ શંકાસ્પદ હોવાની ચર્ચા ઉઠવા પામી છે.હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા ભોજનના સેમ્પલ લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.