Connect Gujarat
ગુજરાત

નવસારી: અતિભારે વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ,જનજીવનને વ્યાપક અસર

નવસારી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત મેઘમહેર થઈ રહી છે, જેથી નદી-નાળાં છલકાયાં છે.

X

નવસારી જીલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર અતિભારે વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે

નવસારી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત મેઘમહેર થઈ રહી છે, જેથી નદી-નાળાં છલકાયાં છે. ત્યારે આ મેઘમહેર હવે આફત સાબિત થઈ રહી છે. છેલ્લા ચાર દિવસથી નવસારી શહેરમાં પૂરને લઈને સ્થિતિ વિકટ બની છે. આજનો દિવસ શહેર માટે મુશ્કેલીનો સાબિત થશે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. નવસારીથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીના જળસ્તર ભયજનક સપાટી વટાવતાં શહેરમાં પાણી ઘૂસી આવ્યું હતું. નવસારીના બંદર રોડથી લઈને પૂર્ણા નદી સુધી જેટલો ઉત્તર દિશા તરફનો નીચાણવાળો વિસ્તાર તમામ પાણીમાં ગરકાવ થયો છે. ગત રાત્રિએ નવસારી જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ દ્વારા શહેરીજનોને એક અપીલ કરતો મેસેજ વહેતો કર્યો હતો, જેમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે અપીલ કરવામાં આવી હતી તેમજ સમગ્ર રાત્રિ દરમિયાન પાલિકા અને વહીવટી તંત્રએ મહેનત કરીને લોકોને સ્થળાંતરિત કર્યા હતા. આજે સવારે શહેરની વાત કરવામાં આવે તો નીચાણવાળા મોટા ભાગનાં મકાનો, દુકાનો અને અન્ય મિલકતો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે નવસારીમાં અંબિકા, પૂર્ણા કાવેરી ત્રણેય નદીમાં ઘોડાપૂર આવ્યાં છે, જેથી શહેરમાં પાણી ઘૂસી જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ચીખલી નજીક કાવેરી નદીના પાણી ફરી વળતાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે 48 બંધ કરવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં પૂરથી 40 હજાર લોકો અસરગ્રસ્ત થયા છે.14,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.NDRFની ટીમે જિલ્લામાં કુલ 21 લોકોનું રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો છે. હાલમાં જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

Next Story