નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કાંગવઈ ગામે શિકારની શોધમાં આવી ચડેલો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનો સહિત વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.
મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કાંગવઈ ગામે છેલ્લા થોડા દિવસોથી દીપડાના આંટાફેરા વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ મામલે ગામના સરપંચની ફરિયાદના આધારે ચીખલી વન વિભાગે સ્થાનિક મહેશ પટેલના મકાનના વાડામાં પાંજરૂ ગોઠવ્યું હતું.
આ દરમ્યાન મળસ્કે 4 વાગ્યાં અરસામાં એક 3 વર્ષનો દીપડો શિકારની લાલચમાં પાંજરે પુરાયો હતો. જોકે, દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ, ચીખલી વન વિભાગે દીપડાનો કબ્જો મેળવી આરોગ્ય તપાસ કરાવી જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી.