નવસારી-બીલીમોરા નગરપાલિકામાં રખડતા ઢોર એ યક્ષ પ્રશ્ન બની ગયો છે. ભૂતકાળમાં થયેલા અકસ્માતો પરથી પણ બોધપાઠ ન લેતા પાલિકા સત્તાધીશોની અણ આવડતના કારણે રખડતા ઢોરનો આતંક શહેરમાં વધી રહ્યો છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વર્ષોનો પ્રાણપ્રશ્ન બનેલ રખડતા ઢોરો શહેરીજનો માટે આફત બન્યો છે. આ સાથે જ બીલીમોરા શહેરમાં પણ રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. તાજેતરમાં જ રખડતા ઢોરોએ છેલ્લા 3 દિવસમાં 3 લોકોને અડફેટે લીધા છે. જેમાં એક 85 વર્ષના વૃદ્ધનો પણ સમાવેશ થાય છે. બીલીમોરા શહેરના ગણેશ એપાર્ટમેન્ટ પાસેથી વહેલી સવારે મસ્જિદમાં નમાઝ પઢવા માટે જઈ રહેલા વૃદ્ધાને રખડતા ઢોરે અડફેટે લીધા હતા. જેના કારણે વૃદ્ધને ફેક્ચર થયું છે, અને હાલ તેમને સારવાર અર્થે બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એવી જ રીતે છેલ્લા 2 દિવસમાં બીલીમોરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા ઢોરના કારણે અનેક બનાવો સામે આવ્યા છે. પરંતુ પાલિકાના સત્તાધીશોએ આના ઉપરથી પણ કોઈ બોધપાઠ લીધો નથી, અને શહેરમાં પ્રખરતા ઢોર હવે સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયા છે.