નવસારી : બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનની ફાટકો પર કામચલાઉ દોરી બાંધીને ચલાવાય છે કામ..!
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગામડાઓમાંથી પસાર થતી બીલીમોરા-વધઈ નેરોગેજ ટ્રેનના માર્ગ ઉપર ફાટકોનો અભાવ જોવા મળ્યો છે, ત્યારે હાલ તો રેલ્વે તંત્ર દ્વારા અહીના વિસ્તારોની ફાટક પર માત્ર દોરી બાંધીને ટ્રેનને પસાર કરવામાં આવી રહી છે.
નવસારી જિલ્લા સહિત આસપાસના તાલુકાના ગ્રામજનો માટે બીલીમોરા-વધઈ નેરોગેજ ટ્રેન આશીર્વાદરૂપ સાબિત થઈ છે. જોકે, રેલ્વે તંત્ર દ્વારા આ નેરોગેજ ટ્રેનની સેવા આપવા બદલ લોકોને મોટી રાહત પણ થઈ છે, ત્યારે કેટલીક અસુવિધા અને સેવાના અભાવના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ જે ગામોમાંથી પસાર થાય છે, ત્યાં અનેક ફાટકો આવેલ છે. આ ફાટકો પર બેરીકેટ પણ નથી અને ફાટકની આજુબાજુના રોડ પણ તૂટેલી હાલતમાં છે. હાલ રેલ્વે દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવેલ માણસો દ્વારા કામચલાઉ દોરી બાંધી વાહનોને અટકાવાની ફરજ પડી છે. આ ટ્રેન રાનકુવાથી પસાર થાય છે. જ્યાં ખારેલ-રાનકુવા રોડ જે ચીખલી-સાપુતારા રોડને મળે છે. સાથે જ ને.હા નંબર 48ને જોડતો માર્ગ છે. જે સતત વાહન વ્યવહારના કારણે કાર્યરત હોય છે. ત્યાં પણ ફાટકની સમસ્યા છે, ત્યારે વહીવટી તંત્ર આ બાબતને ગંભીતાપૂર્વક લય કોઈ યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક ધોરણે આ ફાટકનું રીપેરીંગ કે, બેરીકેટની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.