-
ઓપરેશન સિંદૂર બાદ PM મોદી પહેલીવાર આવશે ગુજરાત
-
તંત્ર દ્વારા ભુજમાં આયોજિત જનસભાની તૈયારીઓ શરૂ કરાય
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ જાહેર સભાને સંબોધન કરશે
-
વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તનું પણ આયોજન
-
પ્રભારી મંત્રી સહિતના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત કરી
કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં પાર પડાયેલા ઓપરેશન સિંદૂરને સફળતા મળી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતમાં આવી રહ્યા છે, તેઓ કચ્છ જિલ્લાના ભુજની મુલાકાત લઈ વિશાળ જાહેર સભાને સંબોધન કરશે.
ઓપરેશન સિંદૂર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. PM મોદી આગામી તા. 26 મે-2025ના રોજ કચ્છ જિલ્લાની મુલાકાત લેશે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા ભુજ ખાતે આયોજિત જનસભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના સંભવિત પ્રવાસને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ કમિટીઓનું ગઠન કરવામાં આવ્યું છે.
આ કમિટીઓમાં મુખ્ય સ્ટેજ વ્યવસ્થાપન, કાયદો અને વ્યવસ્થા જાળવણી, બેઠક અને મંડપ વ્યવસ્થા, જનમેદનીને લાવવા માટે એસ.ટી. બસની ફાળવણી, પાર્કિંગ અને આરોગ્ય સેવાઓ જેવી કામગીરી માટે અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચ્છ મુલાકાતને લઈને સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. ભુજ ખાતે યોજાનારી જાહેર સભા અને વિવિધ વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્તને લઈને તંત્ર અને ભાજપ સંગઠન બંને સંપૂર્ણ રીતે કાર્યરત છે.
જોકે, PM મોદીના સત્તાવાર કાર્યક્રમની જાહેરાત થવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સુપેરે પાર પાડવા માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસુરિયા, રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, કચ્છ સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સહિતના પદાધિકારીઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી. તો બીજી તરફ, કચ્છના લોકો માટે PM મોદીનો આગમન પ્રસંગ ઐતિહાસિક બની રહે તેવી શક્યતા વર્તાય રહી છે.