-
હાથમતી નદીની દુર્દશાથી સ્થાનિકોમાં રોષ
-
નદીમાં ગંદકીએ કરી છે જમાવટ
-
નદીના પાણીમાં ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા
-
ખુદ પાલિકા તંત્ર જ નદીમાં ફેલાવે છે ગંદકી
-
મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં કરાઈ રજૂઆત
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હાથમતી નદીમાં ગંદકીએ સામ્રાજ્ય સ્થાપી દીધું છે,જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ખુદ પાલિકાતંત્રના પાપે નદી પ્રદૂષિત થઈ હોવાની ફરિયાદો પણ લોક મોઢે ઉઠવા પામી છે.
સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરની હાથમતી નદી ગંદકીથી ખદબદી રહી છે,અસહ્ય દુર્ગંધ ફેલાવવાના કારણે સ્થાનિક લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે,એક તરફ સ્વચ્છતા અંગે પાલિકાનું તંત્ર લોકોને અપીલ કરી રહ્યું છે,તો બીજી તરફ ખુદ પાલિકા જ હાથમતી નદીમાં ગંદકી ફેલાવી રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.
હાથમતી નદી હવે ગંદકીથી દુર્ગંધ મારી રહી છે. આસપાસના વિસ્તારમાં જેને લઈ સતત દુર્ગંધની પરેશાની સર્જાઈ રહી છે.તો બીજી તરફ અનેક વાર સરકારી તંત્ર સિંચાઈ વિભાગ અને પાલિકા વચ્ચે નોટિસના કાગળિયાઓનો પણ ખેલ ચાલતો રહે છે અને ગંદકીમાં વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે સ્થાનિક નાગરીકે સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.જેને લઈ હવે આખોય મામલો સામે આવ્યો છે કે પાલિકા દ્વારા જ શહેરની ગટર લાઈનને નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે નદીમાં ગંદકીના ઢગ અને ગંદા પાણીનો જમાવડો જામ્યો છે.
નગરપાલિકા દ્વારા હાથમતી નદીમાં ગંદકી નહીં ફેલાવવા માટે સૂચનાઓ લખવામાં આવે છે.અને લખોના ખર્ચે બોર્ડ પણ લગાડવામાં આવે છે,પરંતુ નદી કાંઠે લગાવેલા આવા સૂચન બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે, ત્યાં જ વળી આ પાલિકા તંત્ર દ્વારા જ શહેરની ગટરના પાણીને નદીમાં છોડી રહ્યું છે.
આ ઉપરાંત નદીમાં ઠેર ઠેર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે.માત્ર નદીમાં લીલ અને ઝાડી ઝાંખરા જ દેખાઈ રહ્યા છે.ત્યારે તંત્ર દ્રારા આ કચરો પણ દૂર કરવો જોઈએ તેવી પણ માંગ ઉઠી છે. નોંધનીય છે કે વિપક્ષે પણ આ મામલે વિરોધ કર્યો છે. તો બીજી તરફ પાલિકાએ હવે આ ગટરના જોડાણને અટકાવી દેવા માટેની બાંહેધરી આપી છે.